એક જ પંડિત-એક જ મંદિર: સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 નકલી લવ-મેરેજ નોંધાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fake Marriage in Banaskantha: ગુજરાતમાં પ્રેમલગ્નની ખોટી રીતે નોંધણી કરવાનું સુવ્યવસ્થિત રીતે ષડયંત્ર ચાલી રહ્યુ છે જેનો પર્દાફાશ કરાયો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 પ્રેમ લગ્ન નોંધાયા છે જેના દસ્તાવેજોની ચકાસણી કરાતાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, એક જ પંડિત અને એક જ મંદિરમાં આ બધાય પ્રેમલગ્ન થયા છે. જે શંકા ઉપજાવે તેમ છે. આ મુદ્દો ઉઠતાં જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
બનાસકાંઠામાં પ્રેમલગ્ન નોંધણીમાં સ્થળ, સાક્ષી, બધું બનાવટી
પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર કરવા પાટીદારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. હાલ ઉત્તર ગુજરાતમાં પાટીદારો રેલી યોજીને જનજાગૃતિ કેળવવા પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન એ વાતનો પર્દાફાશ કરાયો છે કે, ડીસા તાલુકાના સમૌ ગામમાં ગ્રામ પંચાયતમાં લગ્નની ખોટી નોંધણી થઈ રહી છે. પંચાયતના રૅકોર્ડની તપાસ કરતાં એવો ખુલાસો થયો છે કે, આ ગામમાં વર્ષ 2020 અને વર્ષ 2021માં કુલ 159 લગ્નની નોંધણી થઈ હતી. માત્ર વર્ષ 2021માં જ 133 લગ્ન નોધાયા હતા. લગ્ન નોંધણીનો આ આંકડો અસામાન્ય રીતે વધુ હતો જે શંકા ઉપજાવે તેમ છે.
તેમાંય એવી વાત બહાર આવી કે, વર્ષ 2021માં સમૌ ગામના તલાટીની બદલી થઈ તે પછી લગ્ન નોંધણીનો આંકડો એકદમ ઘટી ગયો હતો. આ પરથી એ વાત નક્કી છે કે, લગ્ન નોંધણીમાં કંઈક ગરબડ છે. પાટીદાર યુવા નેતા વરુણ પટેલે દાવો કર્યો કે, સુવ્યવસ્થિત રીતે આખું કૌભાંડ ચાલી રહ્યું છે. જેમકે, સામાન્ય સાક્ષી, સ્થળ, બધું ય બનાવટી. આ ઉપરાંત મોટાભાગના લગ્ન નોંધણીમાં લગ્ન સ્થળમાં ભગવાનપુરાના જોગમાયા માતા મંદિર દર્શાવાયું છે.
ગ્રામજનો કહે છે કે, આ મંદિરમાં ક્યારેય લગ્ન થયા નથી. જ્યારે લગ્ન કરાવનાર પંડિત તરીકે પાલનપુરના મુકેશભાઈ શાસ્ત્રીનું નામ લખાય છે. આ મુદ્દે ગ્રામજનોના નિવેદન લેતાં જાણ થઈ કે, લગ્ન નોંધણી ખોટી છે. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપનિલ ખરેએ તપાસના આદેશ આપ્યા છે. આ અગાઉ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ખોટી લગ્ન નોંધણીનો પર્દાફાશ કર્યો હતો.









