સાબરમતીમાં દોઢ લાખ ક્યુસેક પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતા નદીમાં પૂર

ધરોઇમાંથી પાણી છોડવામાં આવતા સંત સરોવરના ૨૧ દરવાજા ત્રણ
દિવસથી ખુલ્લા
સંત સરોવરમાં પાણી વધુ સંગ્રહ કરી શકાય તેમ નહીં હોવાથી ધરોઇનું પાણી અમદાવાદ તરફ મોકલી દેવાની નોબત ઃ નદીમાં પાણીનું સ્તર ચિંતાજનક વધ્યું
આ વખતે ચોમાસાની શરૃઆતમાં જ સારા વરસાદને પગલે ગાંધીનગરનો
સંત સરોવર ભરાઇ ગયો હતો એટલુ જ નહીં,
ધરોઇમાંથી પાણી છોડવામાં આવ્યું ન હતું તેમ છતા સાબરમતી નદી સંત સરોવર તથા
માણસા પંથકમાં બે કાંઠે વહેતી જોવા મળી રહી એટલુ જ નહીં, જુલાઇ માસમાં તો
સંત સરોવરના દરવાજા ખોલીને અહીંથી પાણી ભાટ-ધોળેશ્વર તરફ છોડવું પડયું હતું.
ત્યારે છેલ્લા દશેક દિવસથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં ચાલી રહેલી મેઘરાજાની
હેલીને પગલે સાબરમતી નદી પરનો ધરોઇ ડેમ ભરાઇ ગયો છે. આ ડેમ સંપુર્ણ ભરા જતા
તેમાંથી છેલ્લા ત્રણ દિવસથી તબક્કાવાર પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું
છે. જેના પગલે ગાંધીનગરના સંત સરોવરન તમામ દરવાજા ખોલીને અહીં આવતા પાણીની આવકને
વાસણા બેરેજ તરફ એટલે કે,
ધોળેશ્વર, ભાટ સહિત
અમદાવાદ રીવરફ્રન્ટ તરફ છોડી દેવામાં આવે છે. જેના કારણે ગઇકાલે અમદાવાદ
રીવરફ્રન્ટનો વોક વે પાણીમા ગરકાવ થઇ ગયો છે.આવી સ્થિતિ વચ્ચે હજુ પણ ધરોઇ ડેમમાં
સતત પાણીની આવક ભયજનકરીતે વધી રહી છે જેના પગલે અહીંથી પાણી છોડવાનો સિલસિલો સતત
ચાલુ છે.જેની ઇફેક્ટ ગાંધીનગરની સાબમરતી નદીમાં પણ જોવા મળી રહ્યો છે.
ધરોઇ ડેમમાંથી આજે સાંજ સુધીમાં તબક્કાવાર થઇને દોઢ લાખ
ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગરના સંત સરોવરમાંથી પણ સાંજ
બાદ રાત્રે અહીંથી એકથી દોઢ લાખ ક્યુસેક જેટલા પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થશે અને
ધોળેશ્વેર-ભાટ એટલે કે, અમદાવાદ
રીવરફ્રન્ટ તરફ જશે. અહીં વાસણા બેરજ પણ ફુલ થઇ
ગયો છે ત્યારે સાબરમતી નદીમાં પાણીની સપાટીનું સ્તર સતત ઉંચુ આવશે. નદીમાં
પાણીનું સ્તર ચિંતાજનકરીતે વધી રહ્યું છે અને નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું
છે ત્યારે નદી કાંઠાના વિસ્તારને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.








