સાબરમતીના શુદ્ધિકરણનો પહેલા દિવસે ફિયાસ્કો: સફાઈના નામે આજે વધુ એક તરકટ કરાશે
Sabarmati River News : સાબરમતી નદીની બુધવારથી સફાઈ કરવાની મ્યુનિ.તંત્રની જાહેરાતનો પહેલા જ દિવસે ફિયાસ્કો થયો હતો. નદીમાં વહેતા થયેલા ગટરના ગંદા પાણી સૂકાયા નહીં હોવાથી બુધવારે કામગીરી કરાઈ નહતી. સાબરમતી રિવરફ્રન્ટનો પહેલો ફેઝ વર્ષ-2003-04માં શરુ કરાયો એ પહેલા નદી ખાલી કરી તેમાં રહેલો કાંપ કાઢવામાં આવ્યો હતો. બે દાયકાથી નદીના કાંપને કાઢીને કયારેય સફાઈ કરાઈ નથી. સાબરમતી નદીની સફાઈના નામે આજથી વધુ એક તરકટ કરાશે.
ચોમાસા અગાઉ વાસણા બેરેજના દરવાજાની મરામત શરુ કરવામાં આવી છે. બેરેજના દરવાજાની મરામત 5 જુન સુધીમાં પૂરી કરાશે. ઉપરાંત બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવાનો હોવાથી નદી ખાલી કરાઈ છે. 14 મેથી નદીનો પટ જેમ જેમ સૂકાશે એમ નદીની સફાઈ કરાશે. એ પ્રકારની જાહેરાત મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવી હતી. બીજી તરફ સાબરમતી નદીની સફાઈને લઈ તંત્રની બેદરકારી છતી થઈ હતી.
નદી સફાઈ કરવા અંગેની જાહેરાત કર્યા પછી પણ તંત્ર તરફથી કોઈ મશીનરી કે કર્મચારીઓને નદીની સફાઈ કામગીરી માટે મોકલાયા જ ન હતા. સાબરમતી રિવરફ્રન્ટ અને સોલિડ વેસ્ટ વિભાગ વચ્ચે કોઈ સંકલન જોવા મળ્યું ન હતું. નદીમાં ગટરના ગંદા પાણીને લઈ સફાઈ થઈ શકે એમ નહીં શકે એમ લાગતાં અધિકારીઓએ પણ ચૂપકીદી સેવી લીધી હતી. આજે (ગુરુવારે) સવારથી સફાઈની કામગીરી શરુ કરાશે એમ કહેવાયું છે.