Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ વિસ્તારમાંથી એક આપઘાતની દુઃખદ ઘટના સામે આવી છે. ગાંભોઈના મોતીપુરા ગામના 31 વર્ષીય એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ડેમાઈ નજીકના જંગલમાં ઝેરી દવા પીધી
મળતી માહિતી અનુસાર, મોતીપુરા ગામના રહેવાસી મહેન્દ્રસિંહ ચૌહાણ નામના યુવકે ડેમાઈ નજીક આવેલા જંગલ વિસ્તારમાં જઈને કોઈ ઝેરી દવા પી લીધી હતી. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
ઘટનાની જાણ થતાં જ મહેન્દ્રસિંહને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેમને બચાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ આજે વહેલી સવારે હોસ્પિટલના બિછાને જ યુવકે અંતિમ શ્વાસ લીધા હતા.
હાલમાં આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને યુવકના આપઘાત પાછળના સાચા કારણો શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


