ડભોઈ તાલુકાના નવા માંડવા ગ્રામ પંચાયત કચેરીમાં
ગ્રામ પંચાયત કચેરી પર હલ્લાબોલ કરી તલાટી-કમ-મંત્રીનો ઉધડો લીધો : ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો
ડભોઈ તાલુકાના નવા માંડવા ગ્રામ પંચાયતમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સ્વજનોના મૃત્યુ બાદ જરૂરી એવા મરણના દાખલા મેળવવા માટે ગ્રામજનો છેલ્લા બે મહિનાથી પંચાયત કચેરીના ધરમ ધક્કા ખાઈ રહ્યા હતા. આખરે તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળેલા અરજદારો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરી પર હલ્લા બોલ કરી તલાટી-કમ-મંત્રીનો ઉધડો લીધો હતો.નવા માંડવાના અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા બાદ સરકારી કામકાજ અને અન્ય કચેરીઓમાં રજૂ કરવા માટે મરણના દાખલાની માંગણી કરી હતી. જો કે,બે મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં તલાટી દ્વારા દાખલા આપવામાં આવતા નહોતા. આ વિલંબને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
- તલાટી સામે ગંભીર આક્ષેપઃ વેરો ભરો તો જ દાખલો મળશે
ગ્રામજનોએ તલાટી પર વધુ એક ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, મરણનો દાખલો કાઢી આપવા માટે તલાટી દ્વારા શરત મૂકવામાં આવતી હતી. અરજદારોના મતે પંચાયતનો બાકી વેરો ભરશો તો જ દાખલો મળશે.તેવું કહીને તલાટી માનસિક દબાણ ઉભું કરતા હતા. મરણના દાખલા જેવા સંવેદનશીલ દસ્તાવેજ માટે વેરાની વસૂલાતનું બહાનું કાઢવું એ કેટલું યોગ્ય? તેવો પ્રશ્ન ગ્રામજનોએ ઉઠાવ્યો હતો
- ઉચ્ચ અધિકારીઓ પાસે કાર્યવાહીની માંગ
સરકાર એક તરફ ડિજિટલ ઈન્ડિયા અને ઝડપી વહીવટની વાતો કરે છે.ત્યારે આવા બેજવાબદાર અધિકારીઓ સરકારની છબી ખરડી રહ્યા છે. નવા માંડવા ગામના લોકોની માંગ છે કે તાલુકા અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરે અને જવાબદાર તલાટી સામે કડક પગલાં ભરે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નાગરિકને આવી હેરાનગતિ ન ભોગવવી પડે.
- તલાટીનો લૂલો બચાવઃ વીસીને જાણકારી નહતી
ગ્રામજનોએ તલાટી દિવ્યરાજસિંહ રહેવરને ઘેર્યા હતો.ત્યારે તેમણે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે દોષનો ટોપલો વીસી પર ઢોળ્યો હતો.
તલાટીએ જણાવ્યું હતું કે નવા પોર્ટલમાં એન્ટ્રી કેવી રીતે પાડવી તેની વીસીને જાણકારી નહતી.જેના કારણે આ વિલંબ થયો છે


