Get The App

શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રૂા. 96 લાખની છેતરપિંડી

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રૂા. 96 લાખની છેતરપિંડી 1 - image

જસદણના ડોડીયાળાના શખ્સ સામે ગુનો નોંધાયો

શરૂઆતમાં આરોપીએ નિયમિત વળતર આપી વિશ્વાસ સંપાદન કર્યા બાદ શીશામાં ઉતારી દીધાં

રાજકોટ: છેતરપિંડીનું હબ ગણાતા રાજકોટમાં શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કાલાવડ રોડ પરના નિલકંઠ પાર્કમાં રહેતા મૂળ કચ્છના માંડવીના મહાવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.૪૨) સાથે આરોપી હિરેન સુરેશ અકબરી (રહે. ડોડીયાળા, તા. જસદણ)એ રૂા. ૯૬.૩૦ લાખની ઠગાઇ કર્યાની ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદમાં મહાવીરસિંહે જણાવ્યું છે કે ૨૦૨૪ની સાલમાં મિત્ર કમલેશ પટેલ મારફત આરોપીના સંપર્કમાં આવ્યા હતા. તે વખતે આરોપીની ઓફિસ અયોધ્યા ચોક પાસે હતી. આરોપીએ તેને કહ્યું કે તે શેર બજારનું કામકાજ કરે છે, જેમાં સારું વળતર મળે છે, જો તમે રોકાણ કરશો તો સારું વળતર આપીશ. જેથી વિશ્વાસ આવતા શરૂઆતમાં રૂા. ૨ લાખનું રોકાણ કર્યું હતું. ધીરે-ધીરે વધુ રકમનું રોકાણ કર્યું હતું. 

દર મહિને આરોપી તેને વળતર આપતો હતો. રૂા. ૧૦ લાખના રોકાણ સામે રૂા. ૫ થી ૬ લાખ વળતર પેટે આપ્યા હતાં. જેને કારણે વિશ્વાસ થતાં સાસુ મોહનબા હઠીસિંહ ચૌહાણ, માસાજી કિશોરસિંહ મનુભા પરમાર, સાળા ધરમરાજસિંહ કિશોરસિંહ પરમાર, કાકાના દીકરા દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા, કાકા રાજભા રામસંગજી જાડેજા, ભાભી હર્ષાબા મહીપતસિંહ જાડેજા, મોટાબાપાના દીકરા મહીપતસિંહ પ્રવીણસિંહ જાડેજા, પાડોશી રાજકુમાર ઝા, સગા ગિરીરાજસિંહ ખાનુભા જાડેજા, હકુમતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ પ્રતાપસિંહ પરમાર, મિત્ર દશરથદાન જીવરાજદાન ગઢવીને પણ રોકાણ કરાવ્યું હતું.

તમામના મળી આરોપી પાસે કુલ રૂા. ૯૬.૩૦ લાખનું રોકાણ કર્યું હતું. ગત ઓગસ્ટ માસ સુધી આરોપીએ વળતર આપ્યું હતું. ત્યાર પછી વળતર આપવાનું બંધ કરી દીધું હતું. ઉઘરાણી કરતાં બહાના બતાવતો હતો. બે મહિના પહેલા આરોપીએ પોતાની ઓફિસ અને મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. એટલું જ નહીં આરોપી ક્યાંક જતો રહેતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.