Get The App

કામરેજમાં આદિવાસીઓની જમીન પર કબજો કરનારને રૃા.24.29 કરોડ દંડ

Updated: Dec 23rd, 2021

GS TEAM

Google News
Google News

- ખોલવડ અને નવાગામની કરોડની જમીનના વિવાદમાં આદિવાસી પરિવારોએ સમાધાન કરી જમીનનો કબજો બિનઆદિવાસીને આપ્યો હતો

-સુનાવણી બાદ 73-એએના ભંગ બદલ નવાગામના ડાહ્યાભાઇ પટેલને પ્રાંત અધિકારીએ જંગી દંડ ફટકારી જમીન સરકાર હસ્તક દાખલ કરવા હુકમ કર્યો

      સુરત

સુરત જિલ્લાના કામરેજના ખોલવડ અને નવાગામમાં કરોડોની જમીનના વિવાદમાં આદિવાસી પરિવારો એ સમાધાન કરી કબ્જો બિન આદિવાસીને આપ્યો હોવા છતાં ફરિયાદ થતાં કામરેજ પ્રાંત અધિકારીએ મહત્વનો ચુકાદો કરી જમીનને ગેરકાયદે ઠરાવી 73 એ એના ભંગ બદલ ડાહ્યા પટેલને અધધધ 24.29 કરોડનો દંડ ફટકારી, જમીનમાંથી ત્રણ બિન આદિવાસીનાં નામો દૂર કરી જમીન સરકાર હસ્તક લેવાનો આદેશ કરાયો હતો.

આ કેસ ની વિગત એવી છે કે કામરેજના ખોલવડ ના રીસર્વે બ્લોક ન. 3131 ની 6660 ચો. મી જમીન તથા નવાગામ ના બ્લોક ન.57 ની 13557ચો.મીની 73 એ એ વાળી તથા નવી શરતની જમીન મકનભાઈ હાતીયા ભાઈ અને તેમના પરિવારજનોના નામે ચાલતી હતી. આ બંને જમીન 25/4/2000 માં ડાહ્યાભાઈ કેશું પટેલ (રહે. ભવાની કોમ્પલેક્ષ નવાગામ કામરેજ ) ના નામે રજિસ્ટર્ડ વીલ બનાવી લીધું હતું.  નવાગામ ની જમીનમાં ઈશ્વર ફાર્મ હાઉસ બનાવ્યું છે.  અને બીજી જમીનમાં મંજૂરી વગર ખોટી સ્કૂલ બનાવી દેવાઈ છે. આવી ફરિયાદ જમીન ના મૂળ માલિકોએ જિલ્લા કલેકટર અને ગાંધીનગર સચિવાલયમાં ફરિયાદ કરતા કામરેજ પ્રાંત દ્વારા તપાસ શરૃ કરાઈ હતી. બંને પક્ષોને સુનાવણી રાખી આખરી હુકમ કર્યો હતો.

કામરેજ પ્રાંત કે.જી. વાઘેલા એ સુનાવણી બાદ હુકમ કર્યો હતો કે આદિવાસીની જમીન જિલ્લા કલેક્ટર ની મંજુરી વગર બીજા કોઈને ફેરબદલી કરી શકાય નહિ. આ જમીનમાં ૨૦ વર્ષ ઉપરાંતથી કબ્જો સામાવાળા ડાહ્યાભાઈ નો છે. આ જોતાં આ જમીન મૂળ માલિકે બિન આદિવાસી ઈસમને તબદીલ કરી છે. જે વિલ હેઠળ દર્શાવેલ છે. આમ જમીનના માલિક દ્વારા તથા સામાવાળાઓ જમીન મહેસુલ કાયદાની કલમ ૭૩ એ એ ની જોગવાઇનો ભંગ કરી જમીનનો કબ્જો ગેરકાયદે જાહેર કરવા પાત્ર થાય છે. આથી જમીનની પ્રર્વતમાન બજાર કિંમતની ત્રણ ગણી રકમ દંડ વસૂલવા આદેશ કર્યો છે.

જેમાં ખોલવડ ની જમીનના 5.99 કરોડ અને નવાગામ ની જમીનના 18.30 કરોડ મળી કુલ્લે 24.29 કરોડ નો દંડ ડાહ્યા પટેલને ફટકારાયો હતો. આ બંને જમીન સરકાર હસ્તક દાખલ કરી તલાટીને સોંપી દેવા  તેમજ જમીન પર ગેરકાયદે કબજો કરનાર ડાહ્યા પટેલ, કાંતિ કેશવ પટેલ અને કૃષ્ણકાંત ભીખાભાઈ પ્રજાપતિ ને કબજામાંથી દુર કરવા આદેશ કરાયો છે.

આદિવાસીઓની જમીનો 99 વર્ષના ભાડાપટ્ટે રાખી ખેલ કરનારાઓ માટે પણ હુકમ લાલબત્તી સમાન

આદિવાસી પરિવારો નો ભોળપણનો લાભ ઉઠાવી ઘણા બિલ્ડરો કે માલેતુજારો સસ્તામાં જમીન પડાવી લે છે. ત્યારબાદ સરકારી આંટીઘૂટીથી બચવા માટે કે કલેક્ટર કે  સરકારમાંથી પરમિશન લેવી પણ મુશ્કેલ હોવાથી મોટાભાગે જમીન 99 વર્ષના ભાડા પટ્ટે રાખીને ગેરકાયદે કબજો કરી ફાર્મ હાઉસ કે અન્ય પ્રવુતિ કરતા હોય છે. તેમના માટે પણ આ હુકમ લાલબત્તી સમાન છે. જો કાયદેસર કાર્યવાહી થાય તો સરકારને દંડની અધધધ આવક થાય તેમ છે.

આદિવાસી પરિવારો એ વિલ રદ કરવા માંગ કરી હતી

આદિવાસી પરિવારે ડાહ્યા પટેલ ને જે વિલ કરી આપ્યું હતું તે વિલ રદ કરવા માટે ગોમતીબેન હતીયા એ કઠોર કોર્ટમાં અરજી કરી હતી. બાદમાં બંને  પક્ષકારો વચ્ચે સમાધાન થતાં વિલ નો હુકમ થાય તે માટે હુકમ પણ થયો હતો.જોકે કલેકટર ની મંજૂરી વગર આદિવાસીની જમીન બીજા કોઈને ફેરબદલી કરી નહિ શકાતી હોવાથી મહત્વનો હુકમ કરાયો હતો.