ઓર્થોપેડિક્સના સાધનો બનાવતી કંપની સાથે બે અધિકારીઓએ રૃા.૨.૬૫ કરોડની કરેલી છેતરપિંડી
ફોઇના પુત્ર અને તેના સાગરીતો નોકરી કરતા ના હોવા છતાં પગાર ચૂકવ્યા ઃ અંગત ખર્ચ પણ કંપનીના નામે ઉધાર્યો
વડોદરા, તા.12 મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ઓર્થોપેડિક્સને લગતા સાધનો બનાવતી કંપની સાથે કંપનીના બે અધિકારીઓએ રૃા.૨.૬૫ કરોડની છેતરપિંડી કરી હતી.
માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા પાસે સહજાનંદ આયરીસ ખાતે રહેતા પ્રશાંત સુરેશભાઇ ડેડકીયાએ તેમના ફોઇના પુત્ર કૌશિક રમેશભાઇ હિંગરાજીયા (રહે.ડ્રીમ આઇકોનીયા, ઇવા મોલ પાસે, માંજલપુર) અને પ્રદિપ ભંવરલાલ ત્રિવેદી (રહે.સનસિટિ બ્લોસમ, અંબે સ્કૂલની પાસે, માંજલપુર) સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મકરપુરા જીઆઇડીસીમાં ઓર્થોમેક્સ પ્રા.લી.ના નામે ઓર્થોપેડિકને લગતા સાધનોનું ઉત્પાદન, વેચાણ અને ટ્રેડિંગ કરું છું.
મારી કંપનીની ઓફિસ મકરપુરારોડ પર ધ એટલાંટિસ ખાતે આવેલી છે. અમારી કંપનીમાં ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર તરીકે પ્રદિપ ત્રિવેદી અને જનરલ મેનેજર તરીકે કૌશિક હિંગરાજીયા કામ કરતાં હતાં. મારા પિતાનો અભ્યાસ ઓછો હોવાથી મારા ફોઇનો પુત્ર કૌશિક તેમજ પ્રદિપ બંને કંપનીમાં થયેલા ખર્ચના તેમજ નફા બાબતનો હિસાબ રાખતા હતાં. હું કંપનીમાં જોઇન્ટ થયા બાદ મેં હિસાબ માંગતા જૂન-૨૦૨૪થી બંનેએ આપવાનું શરૃ કર્યું હતું. બાદમાં બંનેએ તા.૨૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ રાજીનામું આપી દીધું હતું.
કંપનીના હિસાબોમાં ગોટાળા થયા હોવાનું જણાતા મેં હિસાબોની ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે બંનેએ ભેગા મળીને કંપનીને નુકસાન થાય તેવું કામ કર્યું હતું. તેમના સગાઓ નોકરી કરતા ના હોવા છતાં તેમના નામે પગાર ઉધારવામાં આવતો હતો. કૌશિક પોતે અંગત ખર્ચ પણ કંપનીના નામે નાંખી દેતો હતો. કૌશિક પરિવારનો સભ્ય હોવાથી તેને ઓફિસમાં બોલાવી પૂછપરછ કરતાં પોતે રૃા.૧૧.૨૦ કરોડની ઉચાપત કરી હોવાની કબૂલાત કરી હતી. એટલું જ નહી પરંતુ બંનેએ અન્ય કંપની સ્થાપી તેના નામે ધંધો શરૃ કરી દીધો હતો. બાદમાં હિસાબ કરતાં બંનેએ ભેગા મળીને કુલ રૃા.૨.૬૫ કરોડની ઠગાઇ કરી હોવાનુ ંજાણવા મળ્યું હતું.