કારણ વગર ચેઇન પુલિંગ મામલે આરપીએફની કડક કાર્યવાહી, યાત્રીઓ પાસેથી રૂ.2.25 લાખ દંડ વસૂલાયો
એલાર્મ ચેઇન ખેંચાવાથી સમાન રૃટની અન્ય ટ્રેનોના શિડયુઅલ પણ ખોરવાતા અસંખ્ય મુસાફરોને હેરાનગતિ થાય છે.
ટ્રેનમાં ઈમરજન્સી કારણ વગર ચેઇન પુલિંગ મામલે આરપીએફ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી બેદરકારી દાખવનાર યાત્રીઓ પાસેથી રૂ.2.25 લાખના દંડની વસુલાત કરવામાં આવી છે. વિતેલા 5 મહિનામાં ચેઇન પુલિંગની 788 ઘટનાઓ ઘટી હતી.
રેલ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનના તમામ ડબ્બાઓમાં ઈમરજન્સી એલાર્મ ચેન લગાવવામાં આવે છે. જો કે, અમુક પ્રવાસીઓ પોતાના સ્વાર્થ માટે હજારો પ્રવાસીઓને અગવડમાં નાખીને રેલવેની સિસ્ટમમાં પણ ખલેલ નાખે છે. ટ્રેનમાંથી કોઇ અધવચ્ચેના સ્ટેશને ઉતરવા કે પ્લેટફોર્મ પર સામાન ભૂલી જવા જેવા મામૂલી કારણોસર ચેઈન પુંલિંગ કરતા માત્ર તે જ ટ્રેન નહી પરંતુ ,સમાન રૃટની પાછળ આવતી અન્ય ટ્રેનોના શિડયુઅલ ખોરવાતા અસંખ્ય મુસાફરો પરેશાન થાય છે. રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને સતત જાગૃત કરવામાં આવે છે કે, તેઓ ફક્ત ઈમરજન્સી સ્થિતિમાં જ એલાર્મ ચેઈન પુંલિંગનો ઉપયોગ કરે. તેમ છતાં જાન્યુઆરીથી મે 2025ની વચ્ચે વડોદરા મંડળમાં કુલ 788 કેસમાં યાત્રીઓ દ્વારા યોગ્ય કારણ વગર ચેઈન પુંલિંગ કરવામાં આવ્યું હતું. જેથી આ બાબતને ગંભીરતાથી લઈ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) વડોદરા મંડળ દ્વારા બેદરકારી દાખવનાર આવા યાત્રીઓ પાસેથી રૂ.2,25,525નો દંડ વસૂલાયો છે. ઉલ્લેખનીય છે કે, ધારા 141ના અંતર્ગત યોગ્ય કારણ વગર ચેઈન પુંલિંગ કરવામાં આવતા એક વર્ષ સુધીની જેલ અથવા રૂ.1 હજાર સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ છે.