હોસ્પિટલમાં સારવારના બહાને જ્યોતિષી પાસેથી ૧.૪૫ લાખ પડાવી લીધા
યજમાન હોવાનું સમજીને રૃપિયા ટ્રાન્સફર કરનાર જ્યોતિષી ફસાયા
હોસ્પિટલમાં સારવાર માટે ડોક્ટરને પૈસા આપવાના હોવાનું કહી શહેરના જ્યોતિષી પાસેથી ૧.૪૫ લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર ભેજાબાજ સામે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હરણી રોડ ચંદ્રગુપ્ત કોમ્પલેક્સમાં રહેતા પુજારી ગૌરાંગ હરણી ફતેપુરા રોડ પર સૂર્ય દિપ કોમ્પલેક્સમાં શ્રી સત્યનારાયણ જ્યોતિષ કાર્યાલય ચલાવે છે. કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૦ મી માર્ચે મારા પર એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. તેણે મને કહ્યું કે, ભૈયા મૈં ઇન્દૌર સે અહેમદાબાદ હોસ્પિટલ મેં આયા હું. ઇધર મેરા કોઇ નહીં હે. મને એવું લાગ્યું કે, મારો યજમાન હશે. ત્યારબાદ તેણે એવું કહ્યું કે, મેં તમારા એકાઉન્ટમાં ૩૫ હજાર જમા કરાવ્યા છે. અહીંયા હોસ્પિટલમાં કોઇ નથી. હું કહું તે રીતે ડોક્ટરને પૈસા ટ્રાન્સફર કરજો. મારા મોબાઇલ ફોનમાં પૈસા જમા થયાનો મેસેજ આવ્યો હતો.તેના કહેવાથી મેં ચાલુ ફોનમાં ૫૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેણે ઓપરેશન માટે ડો. સંજયને ૫૦ હજાર ટ્રાન્સફર કરવાનું કહેતા મેં મારા ભાઇના એકાન્ટમાંથી રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.સાંજે તેનો ફરીથી કોલ આવતા મેં રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેના કહેવાથી મેં પ્રમોદ રાઠોર, ડો.સંજય તથા સબીરના એકાઉન્ટમાં કુલ ૧.૪૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. મારી સાથે ફ્રોડ થયું હોવાનું જણાતા મેં સાયબર એકનોલોજમેન્ટથી ફરિયાદ રજીસ્ટર કરી હતી.