Get The App

વડોદરામાં 141 વર્ષ પછી ગુલાબજાંબુના વૃક્ષની વાપસી

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં 141 વર્ષ પછી ગુલાબજાંબુના વૃક્ષની વાપસી 1 - image

વડોદરાઃ વડોદરામાં ૧૪૧ વર્ષ બાદ ગુલાબજાંબુ એટલે કે રોઝ એપલના વૃક્ષની વાપસી થઈ છે.વિશ્વ વન દિવસની પૂર્વ સંધ્યાએ તેના પ્લાન્ટને એમ.એસ.યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં રોપવામાં આવ્યો હતો.

કેરળના પાલોડ ખાતે આવેલા જવાહરલાલ નહેરુ બોટનિકલ ગાર્ડનમાંથી તેના છોડને લાવનારા યુનિવર્સિટીના બોટની વિભાગના સંશોધક જયદીપ ગઢીયા કહે છે કે, ગુજરાતમાં એક માત્ર નવસારીમાં ગુલાબજાંબનું વૃક્ષ હોવાનું જાણકારીમાં છે.બાકી કેરાલા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ગુલાબજાંબુના વૃક્ષ પરના ફળ મોટા પાયે ૩૦૦ રુપિયે  કિલોની આસપાસના હોય છે.ગુજરાતમાં ઉગતા જાંબુની જ આ એક પ્રજાતિ છે પણ તેના ફળમાંથી ગુલાબની સુગંધ આવે છે અને તેનો સ્વાદ પણ એકદમ ગળ્યો છે.જેના કારણે વૃક્ષને ગુલાબજાંબુ નામ અપાયું છે.તેમના જણાવ્યા પ્રમાણે ઐતિહાસિક દસ્તાવેજોમાં થયેલી નોંધ પ્રમાણે ૧૮૮૫માં વડોદરાના પબ્લિક ગાર્ડનમાં તેના રોપાનું બે રુપિયે ડઝનના ભાવે વેચાણ થતું હતું.જોકે એ પછી આ પ્રજાતિ વડોદરામાંથી ક્યારે ગાયબ થઈ ગઈ તેની કોઈ જાણકારી નથી કે ડોક્યુમેન્ટેશન થયું નથી.કમાટીબાગમાં પણ આ પ્રજાતિના વૃક્ષ નથી.આ રોપામાંથી ઉગતા છોડ પર બે થી ત્રણ વર્ષમાં ફળો આવવા માડતા હોય છે.ખેતી માટે પણ તે ઉપયોગી થઈ શકે છે.યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં ૧૦૬૨ જેટલી વનસ્પતિઓની પ્રજાતિઓ છે પણ આ પ્રજાતિ અત્યાર સુધી ઉપલબ્ધ નહોતી.

ગુજરાતમાં પહેલી વખત લાલ અશોક વૃક્ષ પણ બોટનિકલ ગાર્ડનમાં જોવા મળશે

સંશોધક જયદીપ ગઢીયા કહે છે કે, આ જ ગાર્ડનમાંથી અન્ય એક લાલ અશોક પ્રજાતિના રોપાને લાવીને તેનું પણ બોટનિકલ ગાર્ડનમાં વાવેતર કરવામાં આવ્યું છે.ગુજરાતમાં આ પ્રજાતિના વૃક્ષ અત્યાર સુધી ક્યાંય જોવા મળ્યા નથી.હવે બોટનિકલ ગાર્ડનમાં તે જોવા મળશે.લાલ અશોક પર નામ પ્રમાણે લાલ રંગના ફૂલ આવે છે.જે ઝૂમખામાં હોય છે.દરેક ઝૂમખાનો વ્યાપ લગભગ દોઢ ફૂટનો હોય છે.ફૂલો ઉગે છે ત્યારે આ વૃક્ષ અત્યંત સુંદર લાગે છે.