Gujarat

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ૨૦૨૫ સુધીના આયોજન સંદર્ભે રૃરકીની ટીમ રિપોર્ટ આપશે

By GS TEAM
23 Aug 20252 mins read
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના  ૨૦૨૫ સુધીના આયોજન સંદર્ભે રૃરકીની ટીમ રિપોર્ટ આપશે

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી, ડ્રેનેજ અને પૂર નિયંત્રણ માટ વ્યવસ્થાપનની સિસ્ટમ વધુ સક્ષમ બનાવી શકાય તે માટે આઇઆઇટી રૃરકીના સિનિયર પ્રોફેસરોની ટીમ વડોદરા અભ્યાસ માટે આવી છે. આ ટીમ ટૂંક સમયમાં તેનો રિપોર્ટ આપશે.

આજે કોર્પોરેશન ખાતે આ ટીમને પાણી, ડ્રેનેજ અને વિશ્વામિત્રી પૂર નિયંત્રણ વગેરેની વિગતો પૂરી પાડવામાં આવી હતી. હવે આ ટીમના સભ્યો આજવા સરોવર, નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સૂર્યા નદી, વિશ્વામિત્રી નદી વગેરે સ્થળે કરેલા કામગીરીનું નિરીક્ષણ માટે મુલાકાત લેશે અને જાત માહિતી મેળવશે. 

વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી, ડ્રેનેજ અને પૂર સંદર્ભે હાલ જે કે કામગીરી કરવામાં આવી રહી છે, તેની માહિતી મેળવવા ઉપરાંત સ્થળ વિઝિટ દરમિયાન જે કંઇ નિરીક્ષણ કરશે તેના આધારે તેમજ બદલાતું જતું વાતાવરણ, ભારે વરસાદ, પૂર તથા બીજા કુદરતી પરિબળો ધ્યાનમાં રાખીને હજી શું સારી કામગીરી કરીને સુધારો કરી શકાય તેમ છે તેનો અભિપ્રાય આ ટીમ કોર્પો.ને આપશે. હાલમાં કોર્પોરેશન દ્વારા વિવિધ કામગીરી માટે જે દરખાસ્ત તૈયાર કરાઇ છે, તેનો પણ અભ્યાસ કરશે.

જેના આધારે કોર્પોરેશન આ ત્રણેય સુવિધાના નેટવર્કમાં સુધારો કરવા કામગીરી હાથ ધરશે, તેમ જાણવા મળ્યું છે. આઇઆઇટી રૃરકીના નિષ્ણાત પ્રોફેસરોની ટીમે ભારતમાં ઘણી જગ્યાએ વિવિધ ક્ષેત્રોમાં આ પ્રકારની કામગીરી કરી પોતાના અભિપ્રાય આપ્યા છે. એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે આ ટીમ હજી આવતીકાલ સુધી છે, અને તમામ બાબતોની માહિતી મેળવીને વર્ષ ૨૦૫૦ સુધીનું કોર્પોરેશનનું જે આયોજન છે તેને ધ્યાનમાં રાખીને રિપોર્ટ આપશે. 

આ ટીમે સ્વીકાર્યું હતું કે અમે બહુ ઓછી કોર્પોરેશનમાં જઇએ છીએ, પરંતુ વડોદરા કોર્પોરેશને સારૃં કામ કર્યું છે ખાસ તો વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી પ્રશંસનીય છે.