માર્ગ-મકાન વિભાગના ઇજનેર અને ડ્રાઇવરનું અકસ્માતમાં મોત
રાજકોટ નજીક બોલેરો પૂલ પરથી 10 ફૂટ નીચે ખાબકતા અકસ્માત : બંને મૃતક ભાવનગર સાઇટનું કામ જોઇ પરત રાજકોટ આવતા હતા ત્યારે ભોગ બન્યા
રાજકોટ, : રાજકોટ-ભાવનગર હાઇવે પર મહીકાના પાટિયા પાસે પૂલ પરથી દસેક ફૂટ નીચે બોલેરો ખાબકતા માર્ગ મકાન વિભાગના યાંત્રિક કાર્યપાલક ઇજનેર અને તેના ડ્રાઇવરનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આજી ડેમ પોલીસે સ્થળ પર જઇ જરૂારી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ વાપીના ચંપકભાઈ છનજીભાઈ પટેલ (ઉ.વ. 55) સી.સી. પટેલ તરીકે ઓળખાતા હતા. ત્રણેક વર્ષ પહેલા તેની રાજકોટના માર્ગ મકાન વિભાગમાં યાંત્રિક કાર્યપાલક ઇજનેર તરીકે બદલી થઇ હતી. બહુમાળી ભવન સામે હોમગાર્ડના ક્વાર્ટરમાં રહેતા હતાં. ગઇકાલે સવારે તેઓ, ડ્રાઇવર જાવેદ યુનુસભાઈ પઢીયાર (ઉ.વ. 27, રહે. બજરંગવાડી-11) સાથે સરકારી બોલેરો લઇ ભાવનગર સાઇટનું કામ જોવા ગયા હતાં. જ્યાંથી પરત ફરતા હતા ત્યારે વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે ગમે તે કારણસર ડ્રાઇવર જાવેદભાઇએ સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા બોલેરો પૂલ પરથી 10 ફૂટ નીચે ખાબકી હતી.
જેમાં બંનેના મોત નિપજ્યા હતાં. આ અકસ્માત મોડી રાત્રે કે વહેલી સવારે સર્જાયાની શક્યતા છે. આજે સવારે એક ખેડૂત ઘટનાસ્થળેથી પસાર થયા ત્યારે બોલેરોને પૂલ નીચે જોઇ પોલીસ, ફાયર બ્રિગેડ અને 108ને જાણ કરી હતી. 108ના તબીબે બંનેને મૃત જાહેર કર્યા બાદ આજી ડેમ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડયા હતાં. જાણ થતાં બંને મૃતકના પરિવારજનો, સગાસંબંધીઓ અને માર્ગ મકાન વિભાગનો સ્ટાફ પોસ્ટમોર્ટમ રૂામ ખાતે દોડી આવ્યો હતો. મૃતક સી.સી. પટેલના પરિવારજનો હાલ વલસાડ રહે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જ્યારે મૃતક જાવેદભાઈ કોન્ટ્રાક્ટ બેઇઝથી નોકરી કરતા હતા. સંતાનમાં પુત્ર છે. તેના પિતા નિવૃત એએસઆઈ હોવાનું જાણવા મળ્યું છે.