Gujarat

દાધોળીયા ગામની મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા રોડ ધોવાયો, ઠેર-ઠેર ખાડા

By GS TEAM
29 Jun 20251 min read
દાધોળીયા ગામની મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા રોડ ધોવાયો, ઠેર-ઠેર ખાડા

- રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો

- ટીડીઓ સહિતના જવાબદાર અધિકારીઓને રજૂઆત છતાં વર્ષો જુની સમસ્યા અધ્ધરતાલ

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના દાઘોળીયા ગામમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા પર ઠેકઠેકાણા ખાડા પડી ગયા છે. રોડ પર ખાડા કે ખાડમાં રોડ છે તે કહેવું જ મુશ્કેલ છે. જેના કારણે રાહદારી અને વાહના ચાલકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મુળીના દાઘોળીયા ગામમાં તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં ન આવતાં દર વર્ષે ચોમાસામાં ગામની મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનો સહિત શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ન છુટકે કાદવ અને કીચડવાળા રસ્તા પરથી પસાર થવાનો વારો આવી રહ્યો છે જેના કારણે બાળકોએ પહેરેલ સ્કુલ યુનિફોમને પણ કીચડ ઉડતા ખરાબ થઈ જવાથી મુશ્કેલી પડી રહી છે. તેમજ વાહન ચાલકોને પણ લપસી જવાનો ભય સતાવી રહ્યો છે. 

બીજી તરફ્ પાણી ભરાતા મચ્છર જન્ય રોગચાળો ફેલાયો તેવી ભિતી સેવાઈ રહી છે. જે અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ ટીડીઓને પણ આ સમસ્યાથી લેખીત અરજી કરી વાકેફ કરવામાં આવ્યા હતા છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી ત્યારે તાત્કાલીક વરસાદી પાણીનો નીકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.