Gujarat

ભાજપ નેતાને કોઇ તકલીફ ના પાડવી જોઈએ! મણિનગરમાં ધારાસભ્યના ઘર પાસે એક જ દિવસમાં લિસ્સા રોડ બન્યાં

By GS TEAM
13 Jul 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં હાલમાં પણ વરસાદના કારણે રોડ ઉપર પડેલા ખાડા અનેક વિસ્તારમાં પુરાયા નથી. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન મણિનગરના ધારાસભ્ય અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ સામે ઝુકી ગયુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપ નેતાને કોઇ તકલીફ ના પાડવી જોઈએ! મણિનગરમાં ધારાસભ્યના ઘર પાસે એક જ દિવસમાં લિસ્સા રોડ બન્યાં

Ahmedadad Maninagar MLA Road News : અમદાવાદમાં હાલમાં પણ વરસાદના કારણે રોડ ઉપર પડેલા ખાડા અનેક વિસ્તારમાં પુરાયા નથી. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન મણિનગરના ધારાસભ્ય અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ સામે ઝુકી ગયુ છે. અમુલ ભટ્ટના બંગલાને અડીને આવેલા રોડ ઉપર પડેલા ખાડા અને ગાબડાના કારણે તેમને તકલીફ ના પડે એ માટે એક જ દિવસમાં  માઈક્રોરીસરફેસ પધ્ધતિથી સામસામે બે નવા દશ-દશ ફુટના નવા રોડ બનાવી દેવાયા છે. આ પધ્ધતિથી રોડ બનાવવા કોર્પોરેશને પ્રતિ સ્કવેરફુટ રુપિયા 200નો ખર્ચ પણ કરી દીધો છે.ઉબડખાબડ રસ્તાઓથી લોકોનુ જે થવુ હોય તે થાય એ પ્રકારની કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકોની માનસિકતા છતી થઈ છે.

મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ કોર્પોરેશનની ગત ટર્મમા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા.તેમની ગાડી ઉબડખાબડ રસ્તા ઉપર ઉછળકુદ ના કરે એ માટે તેમના બંગલાની સામેના ભાગમાં બીજો દસ ફુટનો રોડ માઈક્રોરીસરફેસ પધ્ધતિથી લીસ્સો બનાવી દેવાયો છે.જો કે સો ફુટના અંતરે આવેલા રેલવે ફાટક નંબર-308ની  આસપાસ પડેલા મસમોટા ખાડા હજુ સુધી કોર્પોરેશનને દેખાતા નથી.રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે.તેવા રોડ ઉપર પડેલા ખાડા પુરવા હજુ સુધી તંત્ર થીગડાં મારવા પહોંચ્યુ નથી.જયારે ધારાસભ્યના નિવાસસ્થાને સામાન્ય રોડ ઉખડી ગયો હતો ત્યાં સામસામે બે નવા દશ-દશ ફુટના રોડ વરસાદ આવે એ પહેલા માઈક્રો રીસરફેસ ટેકનોલોજીથી કલાકોમાં જ બનાવી દેવાયા હતા.

છેલ્લા એકમાસથી સામાન્ય વરસાદમાં મણિનગર રેલવે ફાટકની આસપાસ પડેલા ખાડાઓ અને મણિનગર રેલવે ફાટકથી જશોદાનગર સુધીના એક કીલોમીટરના રસ્તા ઉપર વીસથી વધુ ખાડા હજી સુધી પુરવામા આવ્યા નથી.પરંતુ ધારાસભ્યના નિવાસસ્થાનને અડીને તેમને અને તેમની કારને નુકસાન ના થાય એ માટે કોર્પોરેશન તંત્રે એકશનમાં આવીને દસ-દસ ફુટના બે નવા રોડ બનાવી દીધા.આનાથી વધુ હાલાકીવાળી વાત લોકો માટે બીજી કોઈ હોઈ ના શકે.સ્માર્ટસિટીના કહેવાતા વહીવટીતંત્રનો કદાચ આ જ કહેવાતો વિકાસ હોઈ શકે છે.