કાલાવડના ધાંધલ પીપળીયા ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ : સ્થાનિકો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધાંધલ પીપળીયા ગામનો મુખ્ય માર્ગ છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી અતિશય જર્જરિત અને દયનીય સ્થિતિમાં હોવાથી ગ્રામજનો અને આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે.
આ "રસ્તો" હવે ખાડા-ટેકરાનું સાચા અર્થમાં સમાનાર્થી બની ગયો છે, અને તેના પરથી પસાર થવું એ કોઈ અગ્નિપરીક્ષાથી ઓછું નથી. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં, તંત્ર દ્વારા આ માર્ગની દુરસ્તી માટે કોઈપણ ગંભીર પગલાં લેવામાં ન આવતા, ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
ધાંધલ-પીપળીયા ગામનો આ માર્ગ, જે ગ્રામજનોને કાલાવડ તાલુકા મથક અને અન્ય નજીકના ગામો સાથે જોડે છે, તે હવે માત્ર માર્ગ ન રહેતા, એક જીવલેણ ફાંસલા સમાન બની ગયો છે. છેલ્લા દસ વર્ષથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના પરિણામે મોટા ખાડાઓ, ઉબડ-ખાબડ સપાટી અને ધૂળની ડમરીઓએ આ રસ્તાની નિયતિ બની ગઈ છે. આ માર્ગ પરથી પસાર થતા નાના વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે તો તે અત્યંત જોખમી પુરવાર થઈ રહ્યો છે.
ચોમાસાની ઋતુમાં આ રસ્તાની સ્થિતિ વધુ વણસી જાય છે. સામાન્ય વરસાદમાં પણ અહીં મોટા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે રસ્તો તળાવમાં ફેરવાઈ જાય છે. પાણી ભરાઈ જવાથી ખાડાઓની ઊંડાઈનો અંદાજ મેળવવો અશક્ય બની જાય છે, અને પરિણામે વાહનચાલકોના સ્લીપ થવાના કે ગબડી પડવાના અનેક બનાવો બન્યા છે. આવા અકસ્માતોમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો જીવનું જોખમ પણ ઊભું થયું છે. બાળકો અને વૃદ્ધો માટે આ માર્ગ પરથી પસાર થવું એ રોજિંદી યાતના બની ગઈ છે.
આ માર્ગની દુર્દશા એટલી હદે છે કે ગામમાં કોઈ બીમાર પડે તો તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એમ્બ્યુલન્સ જેવી સેવાઓ પણ આ રસ્તા પરથી પસાર થતા ખચકાય છે, અથવા તો તેમને સમયસર પહોંચવામાં વિલંબ થાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ તેમજ પીપરડી જીઆઇડીસી, રાવકી જીઆઇડીસી, તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જતા ખેડૂતોના વાહનો, પણ દરરોજ આ રસ્તા પરથી પસાર થતી વખતે મુશ્કેલીઓ વેઠે છે. રસ્તા પરના ખાડાઓને કારણે વાહનોને પણ મોટું નુકસાન થાય છે, જેનાથી ગ્રામજનોને આર્થિક બોજ પણ વેઠવો પડે છે.
સ્થાનિક ગ્રામજનો દ્વારા પંચાયતથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. લેખિત અને મૌખિક બંને રીતે રજૂઆતો કરવા છતાં, તંત્રના કાને ધાંધલ પીપળીયા ગામના લોકોની વેદના અથડાઈ હોય તેવું લાગતું નથી. ગ્રામજનો પૂછી રહ્યા છે કે શું તેમનું ગામ કાલાવડ તાલુકાના નકશામાં નથી, કે પછી તે કોઈ જંગલ વિસ્તારમાં આવેલું છે કે જ્યાં વિકાસના કામો પહોંચી શકતા નથી..? આ સવાલોનો જવાબ તંત્ર પાસે નથી.
આશ્ચર્યજનક બાબત એ છે કે, ચૂંટણીના સમયમાં આ જ રસ્તા પરથી અનેક રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પસાર થતા હોય છે. મત માંગવા આવતા નેતાઓ ગામલોકોને મોટા મોટા વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ આ રસ્તો તેમની પ્રાથમિકતામાંથી બહાર નીકળી જાય છે. "આવતીકાલે રસ્તો બની જશે," "પ્રક્રિયા ચાલુ છે," "ફંડ મંજૂર થઈ ગયું છે" જેવા જવાબો આપીને વર્ષોથી ગ્રામજનોને વાયદાઓ પર જીવાડવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, છેલ્લા દસ વર્ષથી રસ્તાની સ્થિતિ 'જેમ હતી તેમજ રહી છે, અને કદાચ વધુ ખરાબ થઈ છે.
ગ્રામજનોનો આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડશે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, જેથી તેઓ આ ગંભીર સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટે તંત્ર પર દબાણ લાવે.
એક લોકશાહી દેશમાં, જ્યાં સરકાર "સૌનો સાથ, સૌનો વિકાસ" ના સૂત્રને વળગી રહેવાનું દાવો કરે છે, ત્યાં ધાંધલપીપળીયા જેવા ગામનો એક દાયકાથી જર્જરિત રસ્તો તંત્રની ઉદાસીનતા અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. આશા રાખીએ કે તંત્ર વહેલી તકે સફાળું જાગે અને ધાંધલપીપળીયા ગામના લોકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત માર્ગ મળે, જેથી તેઓ પણ આધુનિક સમાજમાં સન્માનભેર જીવી શકે. રસ્તા બાબતે ગામના નવનિયુક્ત સરપંચ કાંતાબેન રાજેશભાઈ તાળાને રસ્તા અંગે પૂછતાં તેઓએ જણાવ્યું કે અમોએ આ અંગે મામલતદાર, ટીડીઓ કલેક્ટર તેમજ સ્થાનિક ધારાસભ્યને લેખિતમાં રજૂઆતો કરેલી છે. હવે જોઈએ કે આગળ શું કાર્યવાહી કરે છે આ માર્ગનું સમારકામ એ માત્ર વિકાસનો પ્રશ્ન નથી, પરંતુ હજારો લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાનો પ્રશ્ન છે.









