Gujarat

વડોદરામાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈનના કામથી ચાર સ્થળોએ માર્ગ બંધ, ડાયવર્ઝન જાહેર

By GS TEAM
2 Jan 20262 mins read
TukuTouch Logo
વાઘોડિયા ચોકડી, ભાયલી, વાસણા રોડ અને નટુભાઈ સર્કલ વિસ્તારમાં કામ પૂર્ણ થાય ત્યાં સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈનના કામથી ચાર સ્થળોએ માર્ગ બંધ, ડાયવર્ઝન જાહેર

Vadodara Corporation : વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે ચાર સ્થળોએ રસ્તા બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે નગરજનોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા મ્યુ. કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં ગટરમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થતાં સુરક્ષા બાબતે ખાસ સાવચેતી રાખવા માટે કોર્પોરેશન દ્વારા પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરવા તથા સુરક્ષિત અંતર જાળવવાની સૂચના આપવામાં આવી છે.

વાઘોડિયા ચોકડી ખાતે નવી વરસાદી ગટર નાખવાની કામગીરીને કારણે આવતીકાલે તા.3થી આગામી 10 દિવસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને અવરજવર માટે માર્ગ બંધ રહેશે. તેમજ ગોલ્ડન ચોકડી, આજવા ચોકડી અને કપુરાઈ ચોકડી ખાતે આ કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવશે. 

આ ઉપરાંત, એસ.ડબલ્યુ.સી સર્કલથી ભાયલી ગામ થઈ લલિતા પાર્ટી પ્લોટ તરફના રસ્તે નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીને કારણે ભાયલી સ્મશાનથી ભાયલી ગામ થઈ લલિતા પાર્ટી પ્લોટ તથા ભાયલી સ્ટેશન રોડ પર સોલાસીસ-2 સુધીનો એક તરફનો માર્ગ બંધ રહેશે. 

વાસણા રોડ પર રાણેશ્વર મંદિરથી મનીષા સર્કલ સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીને પગલે મનીષા સર્કલથી રાણેશ્વર મંદિર ચાર રસ્તા તરફ આદિત્ય કોમ્પ્લેક્સ સુધીનો એક તરફનો માર્ગ બંધ રાખવામાં આવ્યો છે. 

તેમજ નટુભાઈ સર્કલથી પસાભાઈ પાર્ક થઈ ચકલી સર્કલ સુધી ડ્રેનેજ લાઈનના કામને કારણે ચકલી સર્કલથી પસાભાઈ પાર્ક થઈ નટુભાઈ સર્કલ પાસેના રિલાયન્સ મોલ સુધીનો એક તરફનો માર્ગ પણ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી જરૂરિયાત મુજબ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. 

મ્યુ. કોર્પોરેશને જણાવ્યું છે કે, આ કામગીરી વધુ ઊંડાઈમાં થતી હોવાથી નગરજનોએ પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરવા અને પોતાની સુરક્ષા માટે વૈકલ્પિક માર્ગોનો સતર્કતાપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી છે.