એસ.ટી.બસે ટક્કર મારતા રિક્ષા પલટી ગઇ ઃ રિક્ષા ડ્રાઇવર સહિત ૭ ને ઇજા
તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ જવાયા : એક મુસાફર બેભાન
વડોદરા,મોડીરાતે બે વાગ્યે પ્રિયલક્ષ્મી મિલના ગરનાળા પાસે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા સાત વ્યકિતઓને ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓની હાલત સુધારા પર છે.
મૂળ યુ.પી.ના અને હાલમાં નવાયાર્ડમાં રહેતો અહેમદરજા જાનમહંમદ પઠાણ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે રાતે તે છાયાપુરી રેલવે સ્ટેશનથી છ મુસાફરોને બેસાડી સેન્ટ્રલ એસ.ટી.ડેપો જવા માટે નીકળ્યો હતો. રાતે બે વાગ્યે પ્રિય લક્ષ્મી મિલના ગરનાળા પાસે પૂરઝડપે આવતી એસ.ટી.બસના ચાલકે તેની રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ગઇ હતી.આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. જેમાં મૂળ યુ.પી.ના ૧૮ વર્ષના સુમિત પુષ્પેન્દ્રસિંહને છાતીમાં, ડાબા પગે, જમણા હાથે અને હોઠ પર ઇજા થતા તે બેભાન થઇ ગયો હતો. આ ઉપરાંત (૨) અજીત અનિલભાઇ યાદવ ( ઉં.વ.૧૫) ને ગાલ અને ઘુંટણ (૩) રામાનુજ લક્ષ્મણભાઇ તિવારી ( ઉં.વ.૨૮) ને જમણા હાથે અને છાતીમાં (૪) અન્નુબેન રાજુસિંહ ( ઉં.વ.૧૬) ને છાતી, કમર અને ડાબા પગે (૫) સંગીતાબેન રાજુસીંગ ( ઉં.વ.૪૦) ને માથા અને હાથ (૬) રાજુસિંહ રામદાસ સિંઘ ( ઉં.વ.૪૫) ને નાકમાં, ડાબા ખભે તથા (૭) અહેમદરાજા જાનમહંમદ ( ઉં.વ૨૪) ને માથા તથા જમણા પગે ઇજા પહોંચી હતી. તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સયાજીગંજ પોલીસે રિક્ષા ડ્રાઇવરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી એસ.ટી.બસના ડ્રાઇવરની તપાસ હાથ ધરી છે.