Gujarat
નકશા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સમિતિઓની રચના અંગે મહેસુલ વિભાગનો ઠરાવ
By GS TEAM
12 Sep 20252 mins read

ગુજરાત સરકારના મહેસુલ વિભાગે નકશા પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સ્તરીય, કાર્યવાહક અને જિલ્લા સ્તરીય સમિતિઓની રચના કરવા ઠરાવ કર્યો હતો.
ભારત સરકારે શહેરી વિસ્તારોમાં જમીન રેકર્ડ બનાવવાની મંજૂરી માટે ડીઆઈએલઆરએમપી (ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ) હેઠળ નક્શા (નેશનલ જીઓસ્પેશિયલ નોલેજ બેઝ્ડ લેન્ડ સર્વે ઓફ અરબન હેબિટેશન્સ) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટની એસઓપીની સૂચનાઓના સુચારૂ અમલીકરણ માટે રાજ્ય સ્તરીય સમિતિ, કાર્યવાહક સમિતિ અને જિલ્લા સ્તરીય સમિતિઓની રચનાની મંજૂરી માટે દરખાસ્ત વિચારણા હેઠળ હોય રાજ્ય સરકારના મહેસુલ વિભાગે સમિતિઓની રચના કરવાનો ઠરાવ કર્યો હતો. અધિક મુખ્ય સચિવ (મહેસુલ)ના અધ્યક્ષ સ્થાને દશ સભ્યો સાથેની રાજ્ય સ્તરીય સમિતિ રચવામાં આવી છે. દર ત્રિમાસિકમાં ઓછામાં ઓછી એક વખત મળનારી આ સમિતિ પ્રોજેક્ટનું સંચાલન નિયંત્રણ, પ્રગતિ અહેવાલ ચકાસણી, જરૂરી વહીવટી હુકમ અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરશે.જ્યારે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના અધ્યક્ષ સ્થાને નવ સભ્યો સાથેની કાર્યવાહક સમિતિની રચના કરવામાં આવી છે. દર મહિને ઓછામાં ઓછી એક વખત મળનારી આ સમિતિ પ્રચાર પ્રસાર, વહીવટી, નાણાકીય અને તાલીમ લગત તમામ સત્તાઓ, ઓડિટ અહેવાલ રજૂ કરવા, પ્રશ્નનોનું નિરાકરણ લાવવું સહિતના કાર્ય કરશે. તેમજ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સાત સભ્યો સાથેની જિલ્લા સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. મહિનામાં બે વખત મળનારી આ સમિતિ જે તે વિભાગ અને સંસ્થા સાથે સંકલન, નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરવા, ડ્રોન ઉડાવવા માટે જરૂરી કાર્યવાહી, જરૂરી રેકર્ડ પૂરા પાડવા , તાલીમ વર્ગનું આયોજન કરવું સહિતના કાર્ય કરશે.








