Gujarat

નિવૃત્ત નાયબ કલેકટરને કંપનીમાં ભાગીદાર બનાવી લાખો રૃપિયાની છેતરપિંડી કરાઇ

By GS TEAM
23 Aug 20252 mins read
નિવૃત્ત નાયબ કલેકટરને કંપનીમાં ભાગીદાર બનાવી લાખો રૃપિયાની છેતરપિંડી કરાઇ

અમદાવાદના બોડકદેવ ખાતે રહેતા

રોકાણ પેટે આપવામાં આવેલી દુકાનનો દસ્તાવેજ કરી આપ્યો નહીં અને ચેક પણ રિટર્ન થયો ઃ ત્રણ સામે ગુનો

ગાંધીનગર :  અમદાવાદના બોડકદેવ ખાતે રહેતા નિવૃત્ત નાયબ કલેક્ટરને કંપનીમાં ભાગીદાર બનાવીને તેમની સાથે લાખો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. રોકાણ પેટે આપવામાં આવેલી દુકાનનો દસ્તાવેજ નહીં કરી તેમજ આપેલો ચેક પણ રિટર્ન થતા આખરે ઈન્ફોસીટી પોલીસ મથકમાં બે બિલ્ડર સહિત ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદના બોડકદેવ ખાતે શિવમ ક્લાસે એપાર્ટમેન્ટમાં રહેતા અને નાયબ કલેક્ટર તરીકે નિવૃત્ત થયેલા ભગવાનભાઈ મોહનભાઈ વિરાણી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમણે નિવૃત્તિ બાદ મળેલા નાણાંનું રોકાણ કરવાનું વિચાર્યું હતું. ૨૦૨૨માં, તેમનો પરિચય જીતેન્દ્ર ધીરજલાલ પટેલ સાથે થયો હતો જેમણે તેમને તેમના મિત્ર મનજીભાઈ નારણભાઈ વેકરીયા સાથે ઓળખાણ કરાવી હતી. મનજીભાઈ આયુષી કન્સ્ટ્રક્શન હેઠળ બિલ્ડીંગનું બાંધકામ કરતા હતા, તેમણે નાણાંની જરૃરિયાત હોવાથી ભગવાનભાઈ અને જીતેન્દ્રભાઈને ભાગીદાર તરીકે જોડાવાની વાત કરી અને સારા નફાની લાલચ આપી હતી. ભગવાનભાઈએ મનજીભાઈને ટુકડે-ટુકડે રૃ. ૨.૩૫ કરોડ રોકડા આપ્યા હતા જ્યારે જીતેન્દ્રભાઈએ રૃ. ૩૦ લાખ ચેક અને રોકડા દ્વારા આપ્યા હતા. આમ, કુલ રૃ. ૨.૬૫ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. મનજીભાઈએ ગાંધીનગરના કુડાસણ ખાતે ધલાભવર્ધનધ પ્રોજેક્ટનું કામ લીધું હતું.એક વર્ષ વીતી ગયા છતાં, ન તો મૂડી પરત મળી કે ન તો નફાનો કોઈ હિસાબ મળ્યો. જ્યારે ભગવાનભાઈએ હિસાબ માંગ્યો, ત્યારે મનજીભાઈએ ભાગીદારીમાંથી છૂટા થવા અને નાણાં પરત લેવા માટે દબાણ કર્યું હતું. ત્યારબાદ, લાભવર્ધન પ્રોજેક્ટના બિલ્ડરો સેક્ટર ૫માં રહેતા મનુભાઈ લક્ષ્મણભાઈ રાવળ અને ભરતભાઈ લક્ષ્મણભાઈ રાવળ તથા મનજીભાઈ વચ્ચે એક મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં, કુલ રૃ. ૨.૬૫ કરોડના રોકાણમાંથી, રૃ. ૧,૧૩,૬૦,૫૦૦ના બદલામાં લાભવર્ધન કોમ્પ્લેક્સમાં દુકાન નંબર-૭ આપવાનું નક્કી થયું અને બાકીના રૃ. ૯૦ લાખ માટે ચેક આપવાનું નક્કી થયું હતું. આપેલ ચેકો પૈકી એક ચેક ક્લિયર થયો ન હતો અને દુકાનનો દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યો ન હતો. જેની ઉઘરાણી કરતા ઉશ્કેરાઈને કાઢી મૂક્યા હતા. જેથી  ઇન્ફોસિટી પોલીસ મથકમાં મનજીભાઈ વેકરીયા, ભરતભાઈ રાવળ અને મનુભાઈ રાવળ સામે ગુનો દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.