અમદાવાદ, તા.23 માર્ચ 2022,બુધવાર
ચાંદખેડામાં સોમવારે સાંજે પત્ની સાથે દવા લેવા નીકળેલા સીડબલ્યુસી (સેન્ટ્રલ રેલ્વે વેર હાઉસ)ના નિવૃત્ત અધિકારી સાથે કારમાં આવેલા નાગા સાધુએ હાથ મિલાવતા જ સોનાની વીંટી ગાયબ થઈ ગઈ હતી. સાધુએ હનુમાન મંદિર અને અડાલજ જવાનો રસ્તો પૂછી અધિકારીને નજીક બોલાવી હાથ મિલાવ્યો અને નીકળી ગયા હતા. સોનાની વીંટી ગાયબ થયાની જાણ થતાં અધિકારીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ન્યુ ચાંદખેડામાં પરમેશ્વર હોમ્સમાં રહેતા 68 વર્ષીય ભીખાભાઇ પરમાર નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. મંગળવારે તેઓ પત્નીને શરદી થઈ હોવાથી દવા લઈને દવાખાનેથી ચાલતા પત્ની સાથે પરત આવતા હતા.તે સમયે સાંજના 5.15 વાગ્યે કડી નાગરિક બેન્ક રોડ તરફથી અષ્ટક એલીગન્સ પાસે હોન્ડા સિવિક કાર આવીને ઉભી રહી હતી. કારમાં એક અજાણ્યો ઈસમ અને તેની સાથે નાગા સાધુ બેઠા હતા સાધુએ ભીખાભાઇ પરમારને નજીક બોલાવી સરનામું પૂછી હાથ મિલાવ્યો અને કાર લઈને નીકળી ગયા હતા. ભીખાભાઈને થોડો સમય ગયા બાદ ધ્યાન ગયું કે તેઓના હાથમાંથી રૂ.15 હજારની સોનાની વીંટી ગાયબ થઈ ગઈ છે.


