વડોદરાના કલાલી વિસ્તારમાં રસ્તાનું ધોવાણ થઈ જતા રહીશોનુ વિરોધ પ્રદર્શન
વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં રસ્તાનું ધોવાણ થઈ જતા પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશોએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. અને રસ્તાની સુવિધા ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી નેતાઓના સોસાયટીમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
શહેરના કલાલી વિસ્તારમાં ટ્રાન્સપેક કંપનીની પાછળ આવેલ પ્રમુખ સ્વામી કુટેર સોસાયટીના રહીશોએ રોડ રસ્તાની સુવિધા ને લઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રહીશોનો આક્ષેપ હતો કે, રસ્તા ઉપરથી પસાર થતાં તમામ લોકોને તકલીફ પડી રહી છે, ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝનોને વધુ મુશ્કેલી પડે છે, કોર્પોરેશનએ રસ્તો બરાબર બનાવ્યો નથી, જેથી કોઈને મત નહીં આપીએ ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓને સોસાયટીમાં એન્ટ્રી મળશે નહીં, અહીં છેલ્લા છ મહિનાથી પાણી, ડ્રેનેજ અને રસ્તાની સમસ્યા છે, રસ્તા ઉપર નહેર બનાવી નાખતા તેના કાટમાળથી કીચડનું સામ્રાજ્ય છવાતા લોકોને કાદવ કીચડ માંથી પસાર થવું પડે છે, રસ્તો નહીં બને તો કોર્પોરેશન મોરચો લઈ પહોંચીશું રાજકીય નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ રસ્તાની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી, વહેલી તકે પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માગ છે.