ફતેગંજના કમાટીપુરામાં રહીશો દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત
ડ્રેનેજ મિશ્રિત કાળા રંગનું દુર્ગંધુયુક્ત પાણી દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો
ફતેગંજના કમાટીપુરામાં પાછલા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ આજે તંત્ર સામે નારાજગી દર્શાવી વહેલી તકે સમસ્યાનો ઉકેલ ન આવે તો વેરા બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
કમાટીપુરાના રહીશોએ દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી આજે એકત્ર થઈ તંત્ર સામે આક્રોશ દર્શાવ્યો હતો. મળતી માહિતી મુજબ, રહીશોનું કહેવું હતું કે, લોકોના ઘરોમાં ડ્રેનેજ મિશ્રિત કાળા રંગનું દુર્ગંધુયુક્ત પાણી આવી રહ્યું છે, ના છૂટકે આવા પાણીનો ઉપયોગ કરવાથી વિસ્તારમાં બીમારીનો વાવર પણ છે, મોંઘવારીમાં પાણીના જગ ખરીદી શકતા નથી, ચૂંટણી બાદ નેતાઓ દેખાતા નથી અને ફરિયાદ કરો તો અધિકારીઓ સાંભળતા નથી, પાછલા એક વર્ષથી આ સમસ્યા હોય જો હવે કાયમી ધોરણે ઉકેલ નહીં આવે તો વેરાનો બહિષ્કાર કરીશું. સ્થાનિક આગેવાનનું કહેવું હતું કે, કમાટીપુરા ઉપરાંત સદર બજાર, રબારી વાસ , ગોલવાડ સહિતના વિસ્તારોમાં પણ અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ છે, શાસક પક્ષના કાઉન્સિલર સાંભળતા ન હોવાથી મ્યુ.કમિશનરને રજૂઆત કરાશે.