અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, લોકો જીવ બચાવવા ચોથા માળેથી કૂદ્યા, 27નું કરાયું રેસ્ક્યૂ
Ahmedabad Fire: અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી કૂદ્યા હતા. ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.
એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હોવાનું કહેવાય છે. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા.
ચોથા માળેથી કૂદેલી મહિલાને સ્થાનિકોએ બચાવી
જેમ જેમ ઉપરના માળે આગ લાગી, તેમ તેમ લોકોએ પોતાને બચાવવા માટે મરણિયા પ્રયાસમાં ચોથા માળેથી કૂદી પડ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ભેગા થયા અને કૂદકા મારનારી મહિલા સહિતના લોકોને બચાવવા માટે ગાદલા અને ચાદરનો ઉપયોગ કર્યો, જેનાથી વધુ ઇજાઓ કે જાનહાનિ ટાળી શકાઈ.
ફાયર વિભાગ પૂરતા સાધનો વિના પહોંચ્યું હતું
બીજી તરફ અમદાવાદ ફાયર વિભાગ અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ પૂરતા બહુમાળી બચાવ સાધનો વિના પહોંચ્યા હોવાથી રહેવાસીઓ તરફથી તેમની ટીકા થઈ હતી. તીવ્ર ગરમી અને આગના ઝબકારાથી બચાવ કામગીરી દરમિયાન 11 ફાયર ફાઇટરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી, પરંતુ પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે તેમણે પ્રયાસો ચાલુ રાખ્યા હતા.
ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત
આ ઘટનામાં કુલ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. એક વ્યક્તિના પગના ભાગે દાજી જવાથી ઇજા થઈ હતી અન્ય ત્રણ દર્દીઓમાં મહિલાઓ છે. જેમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રખાયા છે, જ્યારે અન્ય બેની સ્થિતિ સામાન્ય છે. તમામને સારવાર માટે એપોલો હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ફાયર અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે 27 લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. પરિસરમાં વધતા તાપમાને બચાવ અને આગ બૂઝાવવાની કામગીરીને વધુ જટિલ બનાવી દીધી હતી, કારણ કે આગ વધુ તીવ્ર બની હતી અને ઉપરના માળ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.
આગનું ચોક્કસ કારણ નક્કી કરવા અને બિલ્ડિંગના બાંધકામ અથવા ઇમરજન્સી સિસ્ટમમાં કોઈ સલામતી ઉલ્લંઘન થયું હતું કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે તપાસ ચાલી રહી છે.