- જર્જરિત નાળાની ફરિયાદ બાદ તંત્ર જાગ્યું
- અવરજવર માટેના બંને નાળા જર્જરિત હાલતમાં હોવાથી રહીશોને હાલાકીનો સામનો કરવો પડતો હતો
લખતર : લખતરમાં શ્રીનાથજી સોસાયટીના જર્જરિત નાળાનું કામ શરૂ થતાં રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. અવરજવર માટેના બંને નાળા જર્જરિત હાલતમાં હોવાથી રહીશોને હાલાકીનો સામનો કરવો પડતો હતો.
લખતરની શ્રીનાથજી સોસાયટીમાં અવરજવર માટેના બંને નાળા અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. શ્રીનાથજી સોસાયટી, ભૈરવપરા અને મફતિયાપરા વિસ્તારના લોકો નાળાની હલકી ગુણવત્તાવાળી કામગીરીથી પરેશાન હતા. રહિશોની રજૂઆતો બાદ પણ ઉકેલ આવ્યો ન હતો. જે અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ અંતે તંત્ર સફાળું જાગ્યું અને નવા નાળાની કામગીરી શરૂ કરી દીધી છે, જેનાથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. આ સાથે, જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયત કે અન્ય પંચાયત દ્વારા થતા દરેક કામના સ્થળ પર પ્લાન એસ્ટીમેન્ટનું જાહેર બોર્ડ મૂકવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે.


