રાજકોટ બાયપાસ રોડ પર રહિશો અને મહિલાઓએ ચક્કાજામ કરી વિરોધ કર્યો
- 4 થી 5 સોસાયટીઓમાં વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં રોષ
- ચક્કાજામ બાદ મનપા તંત્ર સફાળું જાગતા બીજે દિવસે સવારે તંત્ર દ્વારા કામગીરી હાથધરાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા તમામ વોર્ડ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ અમુક વિસ્તારોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે રાજકોટ બાયપાસ રોડ પર આવેલ પાંચ થી છ સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનીક રહિશો અને મહિલાઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે જે અંગે કોઈ ઉકેલ ન આવતા સ્થાનીક રહિશોએ બાયપાસ રોડ પર રાત્રે ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ બાયપાસ રોડ પર આવેલ નમન પાર્ક, દેવ સોસાયટી, અમન સોસાયટી સહિતના અમુક રહેણાંક વિસ્તારોમાં અનેક પરિવારો વર્ષોથી વસવાટ કરે છે પરંતુ આ તમામ વિસ્તાોરમાં છેલ્લા ઘણા વર્ષોથી તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતા રહિશો અને મિલાઓ ત્રસ્ત બની ગયા છે. જેમાં છેલ્લા ધણા વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં આ સોસાયટીઓમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાઈ રહેતા મહિલાઓ, વૃધ્ધો, નાના બાળકો તેમજ વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે. જે અંગે અનેક વખત અગાઉ પાલિકા તંત્રના સત્તાધીશોને તેમજ હાલ મનપા તંત્રને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે તાજેતરમાં પડેલ વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલની માંગ સાથે સ્થાનીક રહિશો અને મહિલાઓએ રાજકોટ બાયપાસ રોડ પર રસ્તા પર બેસી રાત્રીના સમયે ચક્કાજામ મર્યો હતો. આ ચક્કાજામને પગલે રસ્તા પર બન્ને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જ્યારે આ અંગે પોલીસને જાણ થતાં વઢવાણ પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ચક્કાજામ કરી રહેલ લોકોને સમજાવવાના પ્રયાસો હાથધર્યા હતા. જ્યારે રહિશોના ચક્કાજામ અને વિરોધને પગલે મનપા તંત્ર દોડતું થયું હતું અને વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી.