વડોદરાઃ ગુજરાતીઓની મનપસંદ વાનગીઓની જો યાદી બનાવવામાં આવે તો તેમાં ખીચડી- કઢી અવશ્ય સ્થાન પામે.લગભગ તમામ ઘરના રસોડામાં સ્થાન પામેલી ખીચડીનો સ્વાદ મોગલ બાદશાહોના દાઢે પણ વળગ્યો હતો.અકબરના પુત્ર જહાંગીરને તો ગુજરાતના પ્રવાસ વખતે બાજરીની ખીચડી એ હદે ભાવી હતી કે, દિલ્હીમાં તેણે પોતાના રસોઈયાઓને નિયમિત રીતે આ ખિચડી બનાવીને ખવડાવવાનો હુકમ કર્યો હતો.
ખીચડીના રસપ્રદ ઈતિહાસ અંગે એમ.એસ.યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો.વિભૂતિ પરીખે ..મેપિંગ ખીચડી ઈન ગુજરાતી કયુઝીન એન્ડ બિયોન્ડ ...શિર્ષક હેઠળ એક રસપ્રદ રિસર્ચ પેપર લખ્યું છે અને તેમાં ઉપરોકત ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ રિસર્ચ પેપર ઈન્ડિયન ફૂડ એન્થ્રોપોલોજી નામની જર્નલમાં પ્રકાશિત થયું છે.અલગ અલગ ગ્રંથો અને સંદર્ભોના આધારે લખેલા રિસર્ચ પેપર અંગે પ્રોફેસર વિભૂતિ પરીખનું કહેવું છે કે,ભારતના આમ નાગરિકો માટે ખીચડી સદીઓથી થાળીમાં પિરસવામાં આવતી વાનગી રહી છે.જે મોગલ બાદશાહોના રસોડા સુધી પહોંચી હતી.હુમાયુંએ પર્શિયા(આજનું ઈરાન)ના બાદશાહને ખીચડી ચખાડી હતી તો આઈને અકબરીમાં અબુલ ફઝલે ઉલ્લેખ કર્યો છે કે, બાદશાહ અકબર શુક્રવારે અને રવિવારે ખીચડી જ ખાતા હતા.એ વારસો તેમના પુત્ર જહાંગીરે દિલ્હીનું સિંહાસન સંભાળ્યા બાદ આગળ ધપાવ્યો હતો. એલેક્ઝાન્ડર હેમિલ્ટન નામના યુરોપિયન પ્રવાસીએ નોંધ્યું છે કે, ઔરંગઝેબ પણ ખીચડીનો ચાહક હતો અને તે જે ખીચડી ખાતો હતો તેને આલમગીર ખીચડી નામ પણ અપાયું હતું.
ચાણક્યના અર્થશાસ્ત્રમાં ખીચડીની રેસિપી
૨૦૦૦ વર્ષ જૂના વાસણમાંથી પણ ખીચડીના અવશેષ મળ્યા હતા
મહારાષ્ટ્રના ઓસમાનાબાદ જિલ્લામાં કરાયેલા ઉત્ખનન દરમિયાન આર્કિઓલોજીસ્ટોની ટીમને માટીના બે તૂટેલા વાસણો મળ્યા હતા અને તેમાં ચોખા અને મગની દાળના અવશેષો હતા.આ જગ્યા જે તે સમયે ભારતના રોમ સાથેના વેપાર રુટ પર મહત્વનું કેન્દ્ર હતી.જેના કારણે અહીંયા મોટા પાયે રસોઈ પણ બનાવાતી હતી.સોલાપુર યુનિવર્સિટીના આર્કિઓલોજિસ્ટ માયા પાટિલ શહાપુરકરે કહ્યું હતું કે, કાર્બન ડેટિંગના કારણે વાસણોમાથી મળેલા દાણાના અવશેષ ૨૦૦૦ વર્ષ જૂના હોવાનું સાબિત થયું હતુ.શક્ય છે કે, તે સમયે પણ ખીચડી બનતી હોય.
ચંદ્રગુપ્ત મૌર્યના દરબારના ગ્રીક એમ્બેસેડર મેગસ્થેનિસે પણ નોંધ્યું હતું કે, દાળ અને ચોખાનું મિશ્રણ આમ જનતામાં ઘણું લોકપ્રિય હતું.કારણકે આ વાનગી પૌષ્ટિક હોવાની સાથે બનાવવામાં સરળ હતી.ચાણકયે પણ અર્થશાસ્ત્રમાં ખીચડી બનાવવાની રેસિપી દર્શાવી છે.
યુરોપિયન પ્રવાસીઓ અને વેપારીઓએ પણ ખીચડીની નોંધ લીધી હતી
ભારતની મુલાકાત લેનારા વિદેશી પ્રવાસીઓ અને ઈતિહાસકારોની નજરે પણ ખીચડી ચઢી ગઈ હતી.તેમણે ખીચડી માટે શું લખ્યું છે તેનો ઉલ્લેખ પણ રિસર્ચ પેપરમાં કરાયો છે.
મગને ભાત સાથે ઉકાળવામાં આવે છે, તેમાં ઘી રેડવામાં આવે છે અને તેને નાસ્તામાં ખાવામાં આવે છે.તેઓ (ભારતના લોકો) તેને ખીચડી કહે છે.
--ઈબ્ન બતુતા, ૧૪મી સદીમાં ભારતની મુલાકાત લેનાર મોરક્કન પ્રવાસી
ખીચડી ભારતની સૌથી સ્વીકાર્ય વાગની છે.જે ચોખા અને દાળની સાથે ઘીમાં બનાવવામાં આવે છે.પૂર્વ ભારતમાં દુર્ગા પૂજા જેવા તહેવારોમાં ખીચડીને પ્રસાદ તરીકે ધરાવવાની પણ પ્રથા છે.જ્યાં મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવાનું હોય ત્યાં એક જ વાસણમાં બની જતી ખીચડીનો વિકલ્પ સૌથી વ્યવહારુ છે
--થોમસ કોરયાટ, ૧૬૧૨ થી ૧૬૧૭ દરમિયાન ભારત આવનાર અંગ્રેજ પ્રવાસી
ખેડૂતો, નાના દુકાનદારો, કુશળ કારીગરો, નોકરો અને ગુલામો મોટાભાગે ખીચડી ખાતા જોવા મળે છે.તેઓ નાનુ તાપણું કરીને તેના પર ભાત સાથે કઠોળનું મિશ્રણ પકાવે છે.તેમનું કહેવું છે કે, અમારા પેટ માટે આ પુરતું છે.
--ફ્રાન્સિસ્કો પેલસર્ટ, ૧૬૨૦ થી ૧૬૨૬ દરમિયાન ભારત આવનાર ડચ વેપારી
ખેડૂતો ભાગ્યે જ માંસાહારી ભોજન કરે છે.સાંજના સમયે તેઓ હંમેશા ખીચડી તરીકે ઓળખાતી વાનગી ખાય છે
--ટેવરનિઅર, ૧૬૪૧ થી ૬૭ દરમિયાન ભારતમાં રહેનાર ફ્રેન્ચ વેપારી
સાંસ્કૃતિક, સામાજિક અસરો થકી ઈતિહાસને ભણાવવાની જરુર
રિસર્ચ પેપર લખનાર પ્રોફેસર વિભૂતિ પરીખનું કહેવું છે કે, ઈતિહાસને રાજકીય સરહદોના પરિપ્રેક્ષ્યની જગ્યાએ સાંસ્કૃતિક, સામાજિક રીતિ રિવાજો, રહેણી કરણી તેમજ ખાન પાનની આદતોના પરિપ્રેક્ષ્યમાં ભણાવવો જોઈએ. જેનાથી વિદ્યાર્થીઓનો ઈતિહાસનો અભ્યાસ વધારે રસપ્રદ બની શકે તેમ છે.
ગુજરાતમાં કરવેરાને ખીચડી નામ અપાયું હતું
ગુજરાતના સુબા અલી મહોમ્મદ ખાને લખ્યું છે કે, ૧૪૧૧ થી ૧૪૪૨ વચ્ચે ગુજરાતમાં સુલતાન અહમદ શાહના શાસનકાળ દરમિયાન જમીનદારોને વેરો ચૂકવવાનો રહેતો હતો.જમીનદારો આ માટે ખેતી કરનારાઓ પાસેથી જે રકમ વસૂલતા હતા તેને ખીચડી નામ અપાયું હતું.
શાહી પરિવારોમાં ખીચડીને શાહી સ્વરુપ મળ્યું
મોગલ શાસનકાળમાં શાહી રસોડામાં બનતી ખીચડીને રાજવી સ્વરુપ પણ અપાતું હતું.જેમાં ગરમ મસાલા, ડુંગળી, ઈલાયચી ૅજેવી વસ્તુઓ નાંખવાનું શરુ કરાયું હતું તેમ બાદશાહ અકબરના દરબારી અબુલ ફઝલે નોંધ્યું છે.
શાહજહાંના સમયમાં પોર્ટુગીઝ ધર્મ પ્રચારક અને પ્રવાસી સબાસ્ટિયન મેનરિકને સુકામેવા, ગરમ મસાલા સાથેની ખીચડી પીરસવામાં આવી હતી.
યુરોપના ખલાસીઓ પણ ખીચડી ખાતા થઈ ગયા હતા
યુરોપથી આવતા ખલાસીઓએ પણ ધીરે ધીરે ભારતમાં રોકાણ દરમિયાન ખીચડી ખાવાનું શરુ કર્યું હતું.જેમાંથી ખીચડીના એન્ગલો ઈન્ડિયન વર્ઝન વાનગી કેડગેરીનો જન્મ થયો હતો.ભારતમાં લાંબો સમય ગાળીને પાછા આવતા લોકો માટે ઓરિએન્ટલ ટ્રાન્સલેશન કમિટિએ ઈન્ડિયન કૂકરી શિર્ષક હેઠળ ભારતીય વાનગીઓની એક યાદી પ્રકાશિત કરી હતી અને તેમાં ખીચડીનો પણ સમાવેશ કરાયો હતો.
૬૦૦ વર્ષથી ખીચડીનું સ્વરુપ બદલાયું નથી
બી જે ઈન્સ્ટિટયુટ ઓફ લર્નિંગ એન્ડ રિસર્ચના પ્રોફેસર રામજી સાવલિયાને ટાંકીને રિસર્ચ પેપરમાં ઉલ્લેખ કરાયો છે કે, છેલ્લા ૬૦૦ વર્ષમાં ખીચડી જ એવું મુખ્ય ભોજન છે જે બદલાયું નથી.અમદાવાદના સ્થાપક સુલતાન અહેમદ શાહ પણ નિયમિતપણે ખીચડી ખાતા હતા.
હાથી- ઘોડાને ખીચડી ખવડાવાતી હતી
૧૪૪૪૩માં કમાલુદ્દીન અબ્દુર રઝાક નામના ઈતિહાસકારે નોંધ્યું છે કે, દક્ષિણના રાજ્ય વિજયનગરમાં રાજવી પરિવારના હાથીઓ અને ઘોડાઓને પણ ખીચડી ખવડાવવામાં આવતી હતી.જેમાં મીઠું, તેલની સાથે ખાંડ પણ ઉમેરવામાં આવતી હતી.
સુરતથી ઔરંગાબાદ તરફ જઈ રહેલા રશિયન પ્રવાસી એથનેસિયસ નિકિતિને નોંધ્યું હતું કે, ઘોડાઓને ચણાની સાથે ખીચડી ખોરાકમાં અપાતી હતી.


