ગીરનાં જંગલની વનસ્પતિ ઠૂમરીમાંથી ડાયાબીટીસના દર્દી માટે દવાનું સંશોધન

પગના ઘારા રૂઝાવવા ઠૂમરી વનસ્પતિમાંથી પાવડર, જેલ તૈયાર કર્યો : ધતુરા અને ભાંગનાં બી તેમજ ગંધક પારાનો ઉપયોગ કરી સોજામાં રાહત આપતી દવાનો આવિષ્કાર
રાજકોટ, : આયુર્વેદનો ખજાનો કહી શકાય તેવી ઉતમપ્રકારની વનસ્પતિ સૌરાષ્ટ્રનાં જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. જે પૈકી એક ગીરના જંગલમાંથી મળી આવતી વનસ્પતિ છે ઠૂમરી. જે ડાયાબીટીસના દર્દીને લાંબા ગાળે પગમાં જે ઘારા પડે છે તે રૂઝાવવામાં ઠૂમરી વનસ્પતિમાંથી તૈયાર થતી દવા અકસીર સાબિત થઈ હોવાનું આજરોજ અહી ઈન્સ્ટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદ (ઈટરા) જામનગરના ડેપ્યુટી ડાયરેકટરને જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ખાતે યુજીસીના વડપણ હેઠળ કાર્યરત માલવીયા મિશન રીસર્ચ ટ્રેનીંગ સેન્ટરમાં અત્યારે આયુર્વેદ ઈન પ્રેકટીસ વિષયક અધ્યાપકો માટેનો શોર્ટ ટર્મ કોર્સ ચાલી રહ્યો છે. જેમાં ઓનલાઈન અને ઓફલાઈન દેશભરમાંથી અધ્યાપકો જોડાયા છે આ શોર્ટ ટર્મ કોર્સમાં જામનગર સ્થિત આયુર્વેદ તાલીમ અને સંશોધન સંસ્થાના તજજ્ઞાો માર્ગદર્શન આપી રહ્યાં છે. જામનગરની આ સંસ્થાના ડેપ્યુટી ડાયરેકટર ડો. જોબનભાઈ મોઢાએ તેમના માર્ગદર્શન હેઠળ આર્યુવેદમાં જે સંશોધન થયા છે. તેની આજે રસપ્રદ વિગતો આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ડાયાબીટીસના દર્દી ને લાંબાગાળે પગમાં જે ઘારા પડે છે તેને રૂઝાવવાનું કામ એલોપેથી દવામાં મુશ્કેલ છે. જેનો ઈલાજ આર્યુવેદમાં ઠૂમરી નામની વનસ્પતિએ શોધી આપ્યો છે. ગિરના જંગલમાંથી મળી આવતી આ વનસ્પતિમાંથી અમોએ પાવડર, જેલ ્ને ક્રીમ તૈયાર કર્યું છે. શ્રી લંકન વિદ્યાર્થીના સંશોધનની ફલશ્રૂતિરૂપે આ કામ થઈ શક્યું છે. જે દવા ડાયાબીટીસના દર્દી માટે ઉપયોગી છે. એ જ રીતે અન્ય વિદ્યાર્થીએ હરસ, મસા,ભગંદરના દર્દીને ઓપરેશન બાદ સબંધિત ભાગોમાં જયાં સોજા આવે છે તેનો ઈલાજ શોધી કાઢ્યો છે. પારો, ગંધક, ધતુરા અને ભાંગના બી તથા હીજજલ નામની વનસ્પતિનો ઉપયોગ કરી રસ ચંદ્રીકાવટી બનાવી છે. એ જ રીતે કોસ્મેટીક આઈટમો હવે આર્યુવેદના ક્ષેત્રમાં જે ઉપયોગી પુરવાર થઈ છે. તેમાં આંખની નીચેના કુંડાળા દૂર કરવામાં કેસર ત્રિફળા અને ગાયના ઘીમાંથી તૈયાર થતુ કુમકુમાદી તેલ ઘાર્યુ અસરકારક પુરવાર થયું છે. આર્યુવેદની ઉપયોગીતા અંગે યુનિ.ના શોર્ટટર્મ કોર્સ બાદ હવે સ્માર્ટ ટેકનોલોજી, કલાઈમેન્ટ ચેન્જ જેવા વિષયો ઉપર ટુંકાગાળાના અભ્યાસક્રમો યોજાશે.

