Gujarat
નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધી એમએસટી પાસ માન્ય રાખવા રજૂઆત
By GS TEAM
4 Oct 20251 min read

કોરોનાકાળમાં બંધ કરેલ એમએસટી કોચની સુવિધા શરૂ કરવા તથા નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી વડોદરાની સાથે અમદાવાદથી સુરત સુધી એમએસટી માન્ય રાખવા વેસ્ટર્ન રેલ્વે જનરલ મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી.
વેસ્ટર્ન રેલ્વે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રેસિડેન્ટ અને ડીઆરયુસીસી બરોડા ડિવિઝન મેમ્બર એમ.હબીબ લોખંડવાલાની જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તાને રજૂઆત હતી કે, કોરોના અગાઉ વડોદરા ડિવિઝનમાં એમએસટી (માસિક ટિકિટ) હોલ્ડરો માટે કેટલીક ટ્રેનોમાં અલગ કોચની વ્યવસ્થા હતી. જે કોરોના બાદથી સદંતર બંધ છે. જેના કારણે દરરોજ મુસાફરી કરનાર વિદ્યાર્થી, વેપારી, ખેડૂત તથા નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. જનરલ કોચમાં મુસાફરોની ભીડ હોવાથી પાસ હોલ્ડરો સાથે ઝઘડા થઈ રહ્યા છે. જેથી બંધ કરાયેલા કોચની વ્યવસ્થા ફરી શરૂ કરવામાં આવે. તેમજ નવજીવન એસએફ એક્સપ્રેસમાં અમદાવાદ- વડોદરા વચ્ચે એમએસટી માન્ય છે. જેથી આ ટ્રેનમાં સુરતથી અમદાવાદ વચ્ચે એમએસટી હોલ્ડરોને મુસાફરીની પરવાનગી આપવામાં આવે તો અસંખ્ય પાસ હોલ્ડરોને તેનો લાભ થશે.








