Gujarat

આજે કાળી ચૌદશનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ

By GS Team
11 Nov 20232 mins read
This article was originally published on 11 Nov 2023
આજે કાળી ચૌદશનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ

                                                      Image Source: Freepik

જામનગર, તા. 11 નવેમ્બર 2023 શનિવાર

સનાતન હિન્દુ ધર્મમાં કાળી ચૌદસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. કાળી ચૌદસ દિવાળીના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે અને લોકો ખૂબ જ ભક્તિ અને સમર્પણથી માં કાલીની પૂજા અર્ચના કરે છે. માં કાળી દુષ્ટ આત્માઓ, નકારાત્મક શક્તિ અને રાક્ષસોનો નાશ કરનાર દેવી તરીકે ઓળખાય છે. માનવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે માં કાળીની પૂજા કરે છે, તેમને બધી જ નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ આત્માઓથી મુક્તિ મળે છે. કાળી ચૌદસના દિવસે માં કાળીનો આશીર્વાદ મેળવવાથી બધી નકારાત્મક શક્તિઓ સામે રક્ષા અને દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જે લોકો રાહુ ગ્રહના પ્રભાવથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે, તેમણે માં કાળીની પૂજા કરવી જોઈએ.

આમ તો કાળી ચૌદસ સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. હિંદુ શાસ્ત્રો અનુસાર, આ દિવસે ભગવાન કૃષ્ણ અને સત્યભામાએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેમજ બીજી સૌથી લોકપ્રિય વાર્તા એ છે કે ભગવાન વિષ્ણુ વામનના રૂપમાં આવ્યા હતા અને રાજા બલિને વામન અથવા બ્રાહ્મણ પ્રત્યેની તેમની ભક્તિ જોઈને તેમને મુક્તિ આપે છે.

ઉલ્લેખનીય છે કે, કાળી ચૌદસનો દિવસ તાંત્રિકો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. જે લોકો સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માંગે છે, તેઓ આ શુભ દિવસે માં કાળીની પૂજા કરે છે અને દેવીને પ્રસન્ન કરવા માટે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરે છે.

કાળી ચૌદસ ક્યારથી ? 

કાળી ચૌદસનો પ્રારંભ: ૧૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે ૧.૫૭ વાગ્યે

કાળી ચૌદસની પૂર્ણાહુતિ: ૧૨ નવેમ્બર, ૨૦૨૩ના રોજ બપોરે ૨.૪૪ વાગ્યે

કાળી ચૌદસનું મુહૂર્ત: ૧૧ નવેમ્બર, ૨૦૨૩ના રોજ રાત્રે ૧૧.૦૫ વાગ્યાથી ૧૧.૫૬ વાગ્યા સુધી

ભૂત ચતુર્દશીનું મુહૂર્ત: ૧૧ નવેમ્બર, ૨૦૨૩ના રોજ રાત્રે ૧૦.૫૮ વાગ્યાથી ૧૧.૫૦ વાગ્યા સુધી