પેટલાદ પાલિકામાં કામો સંદર્ભેનો સ્ટે પ્રાદેશિક કમિશનરે રદ કર્યો
- તત્કાલિન ચીફ ઓફિસરની રજૂઆત બાદ સ્ટે મૂકાયો હતો
- કોમ્યુનિટી હોલ, તળાવના બ્યુટિફિકેશનમાં 150 થી વધુ વૃક્ષો કપાતા નુકસાન થતું હતું
પેટલાદ પાલિકાના વોર્ડ નં. બેમાં અમલી ટાઉન પ્લાનિંગ સ્કીમના ફાઈનલ પ્લોટ નં.૩૪/એ ઉપર આંબેડકર ભવન કોમ્યુનિટી હોલ બનાવવા સંદર્ભે ઠરાવ સત્તાધિશોએ કર્યો હતો. જે જગ્યા પર લગભગ ૪૦૦થી વધુ આંબા કેરીના ફળ સાથે જોવા મળે છે.
ઉપરાંત ધોબીકુંડ તળાવ પાસે તળાવના બ્યૂટિફિકેશનના નામે અંદાજીત ૧૪૩ જેટલા વૃક્ષોનું નિકંદન કરી પર્યાવરણને નુકસાન પહોંચાડયું હોવાનો આક્ષેપ કરાયો હતો. જે અંગે પેટલાદ પાલિકાના પ્રમુખ જીજ્ઞોશ જોષી, ચીફ ઓફિસર કુણાલ પટેલ અને કારોબારી ચેરમેન જય પટેલ વિરૂદ્ધ તત્કાલિન ચીફ ઓફિસર હિરલ ઠાકરે મોરચો મોડયો હતો. હાલ હાલોલના ચીફ ઓફિસર હિરલ ઠાકરે પ્રાદેશિક કમિશનર સમક્ષ કલમ ૨૫૮ હેઠળ લેખિતમાં અરજી કરી મનાઈ હુકમ મેળવવા સાથે દાદ માંગી હતી. ગુજરાત પ્રાદેશિક કમિશનરની કચેરીએથી આ અરજી અગાઉ સ્ટે આપવામાં આવ્યો હતો. જેને કારણે કામો અટકી પડયા હતા.
પરંતુ ગત તા. ૫ જૂનના રોજ વિકાસ કમિશનર કચેરી વડોદરા ખાતે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પ્રાદેશિક કમિશનરે અરજદારની સ્ટે અંગેની અરજી નામંજૂર કરી અગાઉ આપેલો હુકમ રદ કર્યો હતો.