ભગવાન જગન્નાથના જયઘોષ સાથે રાજકોટમાં રથયાત્રા : ભાવિકો ભાવવિભોર
અષાઢી બીજના પર્વની ભક્તિસભર ઉજવણી : 7 વાગ્યે છપ્પનભોગ વિધિ 8 વાગ્યે શ્રૂંગાર આરતી પછી ભગવાનને રથમાં બિરાજમાન કરાવી : રાજકોટના રાજવી પરિવારા દ્વારા વિધિ કરી બાદ જયજગન્નાથના જયઘોષ સાથે સાધુ - સંતોની ઉપસ્થિતિમાં રથયાત્રાનો પ્રારંભ
રાજકોટ, : અષાઢી બીજની પરંપરાગત ઉજવણી સાથે આજે રાજકોટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સંખ્યાબંધ ભાવિકોએ જોડાઈને શહેરના રાજમાર્ગો ઉપર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની દિવ્ય પ્રતિમા સાથેના રથને દોરડા વડે ખેંચીને નગરચર્ચા કરાવી હતી. જયજગન્નાથના જયઘોષ સાથે નીકળેલી રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો મહંતોની ઉપસ્થિતિમાં નીકળેલી રથયાત્રામાં દર્શન કરી અનેક ભાવિકો ભાવવિભોર બની ગયા હતાં.
રાજકોટમાં અષાઢી બીજના ધર્મપર્વ નિમિત્તે આજે સવારે અહીના નાનામૌવા ચોક નજીક આવેલા કૈલાસધામ પ રીસરમાં ભગવાન જગન્નાથજીના મંદિરે સવારે ૭ વાગ્યે છપ્પનભોગ વિધિ બાદ ૮ વાગ્યે શ્રૂંગાર આરતી કરવામાં આવ્યા પછી ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. રાજકોટના રાજવી પરિવારા માંધાતાસિંહ જાડેજા દ્વારા વિધિ કરી રથ ખેંચી જયજગન્નાથના જયઘોષ સાથે સાધુ - સંતોની ઉપસ્થિતિમાં રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજીના વડપણ હેઠળ નીકળેલી રથયાત્રા અહીના મોકાજી સર્કલથી શરૂ કરીને વૃંદાવન સોસાયટી, પુષ્કરધામ, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, કિશાનપરા, જિલ્લા પંચાયત ચોક, સદર પંચનાથ, લીમડાચોક, સાંગણવાચોકથી રણજીત વિલાસ પેલેસ પહોંચી હતી. અહીથી એક કલાકના વિરામ બાદ આશાપુરા મંદિર, કેનાલરોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, દેવપરા, સહકાર મેઈન રોડ થઈ પીડીએમ કોલેજતી રાત્રિનાં ૮ વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચી હતી. જયાં મહાઆરતી કરવામાં આવી હતી. રથયાત્રામાં અઘોર પંથીઓ દ્વારા શિવતાંડવની લીલાઓ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. રથયાત્રાનારૂટ ઉપર ઠેર-ઠેરચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
- દ્વારકાધીશના જગત મંદિરે આજે અષાઢી બીજની દિવ્ય ઉજવણી સાંજે 5 વાગ્યાથી ભવ્ય રથયાત્રા ઉત્સવ : દેવકીજીના મંદિર પાસે આવેલા સ્થંભ સાથે રથ અથડાવાથી વાદળો બંધાય અને સારો વરસાદ થાય... એવી લોકવાયકા :
દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર ખાતે આવતીકાલે તા. 28મીએ શનિવારે અષાઢી બીજને ઉત્સવની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જે પ્રસંગે જગતમંદિરમાં જગન્નાથપુરીની માફક રથયાત્રા ઉત્સવ પ્રસંગે સાંજે 5 વાગ્યે કાળિયા ઠાકોરના બાળસ્વરૂપને ચાંદીના રથમાં બેસાડી મંદિરની ચાર પરિક્રમા કરાવવામાં આવશે.
પુજારી નેતાજી એ જણાવ્યું કે પરંપરા મુજબ વર્ષમાં એક જ વખત શ્રીજીના બાળસ્વરૂપ ને ગર્ભગૃહમાંથી બહાર ભક્તોને દર્શન આપવા માટે લાવવામાં આવે છે. જેમાં જગતમંદિર પરિસરમાં રથમાં બેસાડી મંદિરની ચાર પરિક્રમા કરાવવામાં આવે છે. શ્રીજીની દરેક પરીક્રમા પૂર્ણ થયા બાદ ભોગ સામગ્રી તથા આરતી કરવામાં આવે છે. ચોથી અંતિમ પરીક્રમા પૂર્ણ થયા બાદ શ્રીજીના રથને જગતમંદિર પરીસરમાં આવેલ દેવકીજીના મંદિર પાસે આવેલ સ્થંભ સાથે અથડાવવામાં આવે છે. શ્રીજીના રથ સ્થંભ સાથે અથડાવાથી વાદળો બંધાય છે. અને સારો વરસાદ થાય તેવી લોકમાન્યતાં છે.
આ ધાર્મિક પ્રસંગે શ્રીજીને દિવ્યરથ પર યાત્રા કરાવવાનું સવિશેષ મહત્વ હોય છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે. ભગવાન તેના જીવનરથનું દોરડું ખેંચેછે, આ પ્રસંગે હજારો ભાવિકો અષાઢીબીજની ઉજવણી શ્રીજીની સંગ કરે છે. આ રથયાત્રા ઉત્સવ શનિવારે સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી દ્વારકાધીશ જગતમંદિરમાં ઉજવવામાં આવશે. જેમાં 60 કિલો ચાંદીથી બનાવેલા નવા રથમાં પ્રથમ વખત શોભાયાત્રા નીકળશે.