શાહપુર,દરિયાપુરમાં હિન્દુ-મુસ્લિમ એકતા વચ્ચે રથયાત્રાનો રંગ જામ્યો
અખાડા અને ભજન મંડળી ઢોલ નગારા સાથે મન મુકીને નાચ્યા
લઘુમતી અગ્રણીઓએ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશો વહેતો કર્યો
અમદાવાદ,શુક્રવાર
ભગવાન જગન્નાથની રથયાત્રામાં શાહપુર અને દરિયાપુરની પોળો સહિતના વિસ્તારોમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટયંુ હોવાથી ખરા અર્થમાં હિન્દુ અને મુસ્લિમ એકતા વચ્ચે રથયાત્રાનો રંગ જામ્યો હતો. પ્રથમ વખતે અખાડા અને ભજન મંડળીને ઢોલ નગારા સાથે નાચ્યા હતા. ભગવાનની એક ઝલક તથા પ્રસાદ મેળવવા હિન્દુ-મુસ્લિમની મહિલાઓ તથા બાળકોએ પડાપડી કરી હતી. દર વર્ષની જેમ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ વર્ષે પણ રથયાત્રા હર્ષા ઉલ્લાસ સાથે ઉજવાય તે માટે છેલ્લા કેટલાક દિવસોથી રથયાત્રા પૂર્વે દરિયાપુર અને શાહપુર સહિતના વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ એકતા જળવાઇ રહે તે માટે શાંતિ સમિતીની મહોલ્લા મિટીંગો બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કારણે અમદાવાદ પોલીસની મહેનત રંગ લાવી હતી.
ભગવાનની ઝલક અને પ્રસાદ લેવા પડાપડી કરી લઘુમતી અગ્રણીઓએ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશો વહેતો કર્યો
ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા સાંજે દરિયાપુર અને શાહપુરમાં આવી ત્યારે આ વર્ષે પોળોમાં રહેતા લોકો રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હોવાથી બન્ને વિસ્તારમાં ભાવિક ભક્તોનું કિડીયાળુ ઉભરાયું હતું. તેમાંયે ખાસ કરીને મકાનની છત તથા રોડ ઉપરના વૃક્ષો ઉપર ચઢીને રથાયાત્રામાં ભગવનાનની ઝલક માણી હતી હિન્દુ મુસ્લિમ મહિલાઓ અને બાળકોએ પ્રસાદ માટે પડાપડી કરી હતી. શાહપુરમાં દર વર્ષ કરતો આ વર્ષે મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથના દર્શન કરવા ભાવિક ભક્તો ઉમટી પડયા હતા. શાહપુર દરવાજાથી રંગીલા ચોકી સુધીમાં વરસતા વરસાદમાં પ્રથમ વખત અખાડિયનો અને ભજન મંડળીને ઢોલ નગારાના લાતે મન મૂકીને ઝૂમી ઉઠયા હતા.
શાહપુર તેમજ દરિયાપુરમાં મુસ્લીમ આગેવાનો દ્વારા રથયાત્રામાં સામેલ દર્શનાર્થી તથા પોલીસ સહિતના લોકોને પાણી તથા ઠંડા પીણા પીવડાવ્યા હતા. શાહપુરમાં રંગીલા ચોકી પાસે સાંજે ૭.૧૫ વાગે ભગવાનના ત્રણેય રથ અને આવી પહોચતાં દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્ીન શેખ સહિત લઘુમતી તથા હિન્દુ આગેવાનો દ્વારા રથાયાત્રાનું તથા ત્રણેય રથ અને મહંતનું ફૂલહારથી સ્વાગત કરીને શાંતિ દૂત સફેદ કબૂતર આકાશમાં ઉડાડીને શાંતિનો સંદેશો વહેતો કર્યો હતો.