Gujarat

દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી પકડાયો

By GS TEAM
27 Oct 20251 min read
દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી પકડાયો

દાહોદ,દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં દાહોદ પોલીસે મુખ્ય સૂત્રધાર રામુ પંજાબીને અમદાવાદથી ઝડપી પાડયો છે. છેલ્લા એક વર્ષથી ફરાર રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબીને દાહોદ કોર્ટમાં રજૂ કરતા ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દાહોદમાં બિનખેતીના ખોટા હુકમોના આધારે સિટી સર્વેમાં એન્ટ્રી પડાવી સરકારના પ્રીમિયમની ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ગત વર્ષ મે, ૨૦૨૪માં દાહોદ તાલુકાના સાંગામા આવેલી રેવન્યુ સર્વે નંબર ૩૭૩/૧/૧/૪ વાળી જમીનમાં બિનખેતીના ખોટા હુકમ મળી આવતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં રામુ પંજાબી સહિત છ આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો. આ પ્રકરણમાં મહેસુલ વિભાગના નાયબ ક્લાર્ક તેમજ ઓપરેટર પણ સામેલ હતા. આ કેસમાં એક પછી એક બધા ઝડપી જેલ ભેગા કરી દીધા હતા, પરંતુ રામુ પંજાબી ફરિયાદ દાખલ થતા જ ફરાર થઈ ગયો હતો.

પોલીસે રામુ પંજાબીની મિલકત જપ્તી માટે પણ કાર્યવાહી હાથ ધરી હતી. તેમ છતાં તેનો કોઈ પત્તો ન લાગ્યો હતો. આ પ્રકરણમાં એક તરફ પોલીસ એક પછી એક ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી રહી હતી તે દરમિયાન દેત્રોજ પોલીસને બાતમી મળી હતી કે રામુ પંજાબી અમદાવાદ ખાતે તેના વકીલને મળવા આવે છે. જેથી પોલીસે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો.