Chief Secretary of Gujarat : ગુજરાતના મુખ્ય સચિવ તરીકે વરિષ્ઠ અધિકારી પંકજ જોષીએ આજે શુક્રવારે ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો હતો. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થતાં પંકજ જોષીએ મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ જોષીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, 'ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એફ.ડી.આઈ ઇન્વેસ્ટમેન્ટ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભારતમાં ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા અઢી દાયકામાં રાજ્યનો અગ્રીમ વિકાસ થયો છે અને આવનારા સમયમાં પણ ગુજરાતનો વિકાસ વધુ ઝડપથી થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.'
મુખ્ય સચિવ પંકજ જોષીએ કહ્યું?
મુખ્ય સચિવ જોષીએ કહ્યું કે, 'ભારત સરકાર અને ગુજરાત સરકારનું એક જ વિઝન રહ્યું છે, આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશે. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ગુજરાત 2047 વિઝન ડોકયુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિઝન ડોકયુમેન્ટ બે થીમ પર આધારિત છે. જેમાં અર્નીગ વેલ અને લીવિંગ વેલ આ બંને થીમને ધ્યાનમાં રાખીને રોડ મેપ તૈયાર કરાશે.

આ પણ વાંચો: સિવિલ જજની 212 જગ્યાઓ માટેની ભરતી હાઈકોર્ટે બહાર પાડી, ઓનલાઈન કરી શકાશે અરજી
આ સાથે વય નિવૃત્ત થતાં ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારને રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના વડા-અધિકારીઓએ ભાવભરી વિદાય આપી. આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, અધિક મુખ્ય સચિવ જે.પી. ગુપ્તા, અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર સહિત વિવિધ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

મૂળ ઉત્તરપ્રદેશના વતની પંકજ જોષી વર્ષ 1989માં ગુજરાત કેડરમાં ભારતીય સનદી અધિકારી તરીકે જોડાયા હતા. જોષીએ સિવિલ ઈજનેરીમાં બી.ટેક. તેમજ જળ ક્ષેત્રે એમ.ટેક.નો અભ્યાસ કર્યો છે. તેઓએ ગુજરાતમાં પ્રાંત અધિકારીથી શરૂ કરીને સરકારના વિવિધ મહત્ત્વના વિભાગોમાં ફરજ બજાવી છે.


