રાજકોટમાં 4 કરોડના ખર્ચે બનાવેલો અંડરપાસ શોભાના ગાંઠિયા સમાન, પ્રજાના પૈસા પાણીમાં
Rajkot News: રાજકોટના હોમી દસ્તુર માર્ગ પર 4 કરોડના ખર્ચે બનાવામાં આવેલા અંડરપાસનું કામ પૂર્ણ થઇ ગયું છે અને ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવી શકે છે. ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાથી હજુ સુધી અંડરપાસ ખુલ્લો મુકાયો નથી. ચોમાસાના પ્રથમ વરસાદે તંત્રની બેદરકારી છતિ કરી દીધી છે. જો આ અંડરપાસ ખુલ્લો મુકવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી બની શકે છે.
રાજકોટમાં હોમી દસ્તુર માર્ગ પર કરોડો ખર્ચે તૈયાર કરેલા અંડરપાસમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર લાલિયાવાડી સામે આવી છે. આ અંડરપાસ ખુલ્લો મુકાય તે પહેલાં જ અંડરબ્રિજમાં પાણી ભરાવવા લાગ્યા છે. અંડર પાસમાં પાણી નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા નથી. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચીને તૈયાર કરાયેલા અંડરપાસમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. જેના લીધે લાગી રહ્યું છે કે પ્રજાના પૈસા પાણીમાં પડી ગયા હોય અને સાથે જ મનપાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી પણ ઉઘાડી પડી ગઇ છે.
રાજકોટના હોમી દસ્તુર માર્ગ પર બનેલો નવો અંડરપાસ મનપાની વધુ એક અણઆવડતનો નમુનો છે. આ અંડરપાસનું લોકાર્પણ થાય તે પહેલાં વિવાદમાં આવી ગયો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે પાણી નિકાલ કરવાની વ્યવસ્થા જ ભૂલાઇ ગઇ હોવાના આક્ષેપ કર્યા છે. તો બીજી તરફ મનપાના ડે.કમિશનર હર્ષદ પટેલે કહ્યું કે અંડરપાસનું કામ રેલવે તંત્રને સોંપવામાં આવ્યું હતું. હજુ તેમણે કામ પૂર્ણ કરીને મનપાને સોંપ્યું નથી. કારણ કે કોઇપણ જગ્યાએથી રેલવે લાઇન પસાર થતી હોય ત્યારે તેના નીચે નાળું બનાવાની સંપૂર્ણ જવાબદારી કાયદા મુજબ રેલવે વિભાગની છે. મનપા તરફથી એમને જે રકમ આપવાની હોય તે ઇશ્યૂ કરવામાં આવતી હોય છે.
આજે અમે અંડરપાસની મુલાકાત લીધી હતી અને નિરિક્ષણ કર્યું હતું કે ટ્રાફિક અને પાણીના નિકાલની શું વ્યવસ્થા છે. ત્યાં વધુ વરસાદ આવે તો ચોક્ક્સપણે પાણી ભરાઇ શકે છે. અમે તેનું ટેક્નિકલ સોલ્યુશન શોધી રહ્યા છીએ અને સિટી ઇજનેર પણ સૂચના આપી છે કે અમારી સમક્ષ સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવે કે તેમાં શું થઇ શકે તેમ છે. આ કોઇ એટલો મોટો ઇશ્યૂ નથી. પરંતુ રેલવે દ્વારા અમને સોંપ્યા બાદ યોગ્ય નિરાકરણ લાવી પ્રજાના ઉપયોગ માટે ખુલ્લો મુકીશું.