Gujarat

રાજકોટમાં મનપાને કર ચૂકવનારા 16,600 વધ્યા છતાં આવક સ્થિર

By GS TEAM
12 Nov 20252 mins read
રાજકોટમાં મનપાને કર ચૂકવનારા 16,600 વધ્યા છતાં આવક સ્થિર

મનપાના રૂ।. 450 કરોડના લક્ષ્યાંક સામે 304 કરોડની વસુલાત : મોટામાથાઓની મ્યુનિ. ટેક્ષ ભરવામાં ડાંડાઈ જ્યારે સામાન્ય નાગરિકો નિયમિત વેરો ભરતા તેની સંખ્યા 3.84 લાખ થઈ

 રાજકોટ, : રાજકોટ મહાપાલિકાને હાઉસટેક્સ સહિત વેરો ચૂકવનારા કરદાતાઓની સંખ્યામાં ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે અત્યાર સુધીમાં 16600નો નોંધપાત્ર વધારો થયો છે છતાં આશ્ચર્યજનક બાબત એ છે કે કરની આવકમાં માત્ર 1.80 કરોડનો વધારો થયો છે. ટકાવારી મૂજબ એક વર્ષમાં કર ચૂકવનારા ૪.૫૦ ટકા વધ્યા છે જ્યારે આવકમાં માત્ર ૦.૬૦ ટકાનો એટલે કે અર્ધા ટકા જેટલો જ વધારો થયો છે. 

આનું કારણ એવું જોવા મળ્યું છે કે સામાન્ય નાગરિકો કે જે નાના મકાનમાં રહે છે કે નાની દુકાન-ઓફિસ ધરાવે છે તે મનપાને નિયમિત, મોટાભાગે તો વળતર યોજનામાં જ હાઉસટેક્સ ભરી દેતા હોય છે. પરંતુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી માંડીને કલેક્ટર ઓફિસર સહિત સરકારી કચેરીઓ તેમજ મોબાઈલ કંપની,ઉદ્યોગપતિ સહિત મોટા બાકીદારો મોટી રકમનો વેરો ભરતા નથી અને તેમના ઉપર વર્ષે 18 ટકા જેવું વ્યાજ ચડતું જાય છે. 

મનપામાં સ્વૈચ્છિક કર ચૂકવણીનું પ્રમાણ સામાન્ય નાગરિકોમાં વધવા પાછળ નિયમિત-પ્રમાણિક કરદાતાઓને તેમજ ઓનલાઈન વેરો ભરનારાને અપાતું વિશેષ વળતર, પ્રોત્સાહન ઉપરાંત ઓનલાઈન ટેક્સ ચૂકવણીની સરળ પ્રક્રિયા અને સર્વર ડાઉનના ધાંધિયાનું નહીવત્ પ્રમાણ કારણભૂત મનાય છે. 

ગત વર્ષ ઈ. 2024-25માં રાજકોટ મનપાને રૂ।. 411 કરોડની વસુલાત થઈ હતી, આ વર્ષે આજ સુધીમાં રૂ।. 304 કરોડ વસુલાયા છે અને લક્ષ્યાંક રૂ।. 450 કરોડનો છે. આમ, આશરે દોઢસો કરોડ વસુલવાનો ટેક્સબ્રાન્ચ સામે પડકાર છે. જો ખાસ કરીને મોટાબાકીદારોને ટાર્ગેટ કરીને કડક વસુલાત નહીં કરાય તો આ વર્ષે પણ લક્ષ્યાંક સિધ્ધ નહીં થવાની અને તે કારણે કામો પડતા મુકવા પડે તેવી શક્યતા છે.