Gujarat

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું

By GS TEAM
10 Jun 20262 mins read
TukuTouch Logo
ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને 21મી સદીના આ યુગમાં હજુ પણ અંધશ્રદ્ધાનું સંપૂર્ણપણે નિર્મૂલન થયું નથી. વર્ષો પહેલાં વિધવાનું મુંડન કરાવવાની પ્રથા હવે અમલમાં નથી તેવું જો કોઈ માનતું હોય તો ખોટું છે. રાજકોટમાં રહેતી એક સ્ત્રીનું પતિના અવસાન થયાના ત્રીજા દિવસે જ સાસુ અને નણંદે મળી બળજબરીથી મુંડન કરાવી નાખ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું

Rajkot superstition case: ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને 21મી સદીના આ યુગમાં હજુ પણ અંધશ્રદ્ધાનું સંપૂર્ણપણે નિર્મૂલન થયું નથી. વર્ષો પહેલાં વિધવાનું મુંડન કરાવવાની પ્રથા હવે અમલમાં નથી તેવું જો કોઈ માનતું હોય તો ખોટું છે. રાજકોટમાં રહેતી એક સ્ત્રીનું પતિના અવસાન થયાના ત્રીજા દિવસે જ સાસુ અને નણંદે મળી બળજબરીથી મુંડન કરાવી નાખ્યું હતું.

સાસુ-નણંદની ચડામણીથી ઘરમાં શરૂ થયા કલેશ

માયાણી ચોકમાં પિયરમાં રહેતી સોનલબેન જાગાણી (ઉ.વ. 36)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 2014માં જેતપુરમાં રહેતાં ચંદ્રેશ સાથે લગ્ન થયા હતા. પતિ કારખાનું ધરાવતા હતા. દામ્પત્યજીવનમાં પુત્ર અને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. લગ્ન બાદ ત્રણ વર્ષ સંયુક્ત પરિવારમાં રહી હતી. સાસુ અને નણંદ પતિને નાની-નાની વાતમાં ચડામણી કરતા હોવાથી પતિ અવારનવાર ઝઘડા કરી મારકૂટ કરતો હતો.

નાની-નાની વાતોમાં અવારનવાર મારકૂટ અને ઝઘડા

આ સ્થિતિમાં સસરાના કહેવાથી નવાગઢ જકાતનાકા પાસે ભાડાના મકાનમાં અલગ રહેવા જતા રહ્યા હતા. લગ્નની શરૂઆતથી જ નણંદ કહે તે મુજબ જ બધું થતું હતું. 2022માં પુત્રીનો જન્મ થયો હતો. તેના સાસુ ભૂવા, દોરા-ધાગામાં ખૂબ જ માનતા હોવાથી અલગ-અલગ ભૂવાઓને ઘરે બોલાવતા હતા. જે તેને ગમતું નહીં. પરિણામે આ બાબતે ઝઘડાઓ થતાં હતાં.

વર્ષ 2023માં પતિને આંતરડાનું કેન્સર થયું હોવાથી મૃત્યુ થયું 

2023માં પતિને આંતરડાનું કેન્સર થયાનો રિપોર્ટ આવ્યો હતો. જેની સારવાર અને ઓપરેશનનો બધો ખર્ચ પતિએ જ ઉઠાવ્યો હતો. પતિની સારવાર ચાલુ હતી ત્યારે સાસુએ ભૂવાના કહેવાથી સારવાર બંધ કરાવી દીધી હતી. પતિની તબિયત વધુ ખરાબ થતાં ધોરાજી સાસરે રહેવા જતા રહ્યા હતા. જ્યાં સારવાર માટે સાસુ-સસરા ઘરમાં અવારનવાર ભૂવાને બોલાવતા હતા. આખરે ગઈ તા. 12-11-2025ના રોજ પતિનું મૃત્યુ થયું હતું.

'પતિની આત્માને શાંતિ નહીં મળે' કહીને મુંડન કરાવ્યું

તેના ત્રણ દિવસ બાદ સાસુ અને નણંદે તેને કહ્યું કે, તારા માથાનું મુંડન કરાવવું પડશે, જો તું મુંડન નહીં કરાવ તો તારા પતિની આત્માને શાંતિ નહીં મળે. આ પછી બળજબરીથી તેના માથાનું મુંડન કરાવી નાખ્યું હતું. પોલીસે આ ફરિયાદના આધારે સાસુ જયાબેન, સસરા ભાડાભાઈ (રહે. બંને ધોરાજી) અને નણંદ નિમિષાબેન રાજેશભાઈ પાદરીયા (રહે. જેતપુર) વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ

મુંડનને કારણે ઘરની બહાર પણ નીકળી શકતાં ન હતાં

સાસરિયાઓએ બળજબરીથી મુંડન કરાવી નાખતા સોનલબેન કફોડી અને શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આઠ મહિના બાદ હવે તેના માથામાં થોડા વાળ આવ્યા છે. મુંડનને કારણે ઘણાં સમય સુધી બહાર જઈ શકતા પણ નહીં, હવે પણ માથું ઢાંકી બહાર નીકળવું પડે છે. સોનલબેને અત્યારનો ફોટો પણ પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.