| |||
Rajkot News: રાજકોટ જિલ્લાના આટકોટમાં દુષ્કર્મ પીડિત દીકરી અને તેના પરિવારની ઓળખ છતી કરવી કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરને ભારે પડી છે. જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) અધિનિયમ હેઠળ પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મહત્વનું છે કે રાજકીય નેતાઓ દ્વારા પીડિત પરિવારના ફોટા કોઈ તકેદારી વગર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા.
પ્રગતિ આહીર ઉપરાંત 25 લોકો સામે ગુનો
રાજકોટના જસદણમાં બનેલા નિર્ભયાકાંડ બાદ કોંગ્રેસના નેતા પ્રગતિ આહીર અને અન્ય આગેવાનો બાળકીના પરિવારજનોને સાંત્વના ઘરે પહોંચ્યા હતા. પણ બાદમાં આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત કરતાં ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ (જુવેનાઇલ જસ્ટિસ) મુજબ કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિતના હાજર આગેવાનોએ નિયમોનો ભંગ કર્યો હતો. જેથી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ તપાસમાં જોતરાઈ
પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી કરવાના મૂડમાં છે, સોશિયલ મીડિયા પર ફોટા કોણે અપલોડ કર્યા કર્યા કોને મોકલ્યા, કેટલા ગ્રુપોમાં નાખવામાં આવ્યા તેની પણ તપાસ આદરી દેવામાં આવી છે. મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ડિજિટલ પુરાવાની ખરાઈ શરૂ કરાઇ છે. પ્રગતિ આહિર સામે દાખલ થયેલી ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે, તેમણે પીડિત પરિવારની મુલાકાત દરમિયાન લીધેલા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કરીને તેમની ઓળખ જાહેર કરી છે, જે ગુનાહિત કૃત્ય છે.
જુવેનાઇલ જસ્ટિસ એક્ટ (કિશોર ન્યાય અધિનિયમ) 2015
પ્રકરણ 9 બાળકો સામેના અન્ય ગુનાઓમાં કલમ 74 હેઠળ બાળકોની ઓળખ છતી કરવા સામે નિષેધ કરવામાં આવ્યો છે. (પીડિત બાળકના પરિવારની ઓળખ છતી કરવી પણ ગુનો બને છે કારણ કે પરિવારની ઓળખ જાહેર કરવાથી બાળકની પણ ઓળખ જગજાહેર થઈ જાય છે.) કલમ 76 ની પેટાકલમ 3 હેઠળ જોગવાઇનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છ માસ સુધીની કેદની સજા અથવા બે લાખ સુધી વધી શકે તેવા દંડ અથવા બંને સજા મળી શકે છે.


