રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતાં ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Crime News: રાજકોટ શહેરના ગ્રીનલૅન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલાઆપા મંદિરમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા 52 જેટલા જીવતા સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મંદિરના મહંત મનુ મણિરામ દૂધરેજિયાની ધરપકડ કરી છે. મહંત 'નાગદેવતાનું મંદિર' કહીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરતો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ મંદિરમાં 100થી વધુ સાપ રાખવામાં આવ્યા હોવાની આશંકા છે.
મહંત મનુ મણિરામ દૂધરેજિયા છેલ્લા ઘણા સમયથી આ મંદિરમાં મોટી સંખ્યામાં સાપને ગેરકાયદેસર રીતે રાખીને તેને 'નાગદેવતાનું મંદિર' ગણાવીને ભક્તોને આકર્ષિત કરતો હતો. તે સોશિયલ મીડિયા પર પણ આનો પ્રચાર કરતો હતો, જેના કારણે ભોળા ભાવિકો મોટી સંખ્યામાં અહીં આવતા હતા.
આ પણ વાંચો: ગુજરાતના રતનમહાલના જંગલમાં 'ટાઈગર'નું પુનરાગમન! કેમેરામાં થયો કેદ, વન વિભાગમાં ખુશીનો માહોલ
વન વિભાગને આ અંગે બાતમી મળતાં જ અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં અલગ-અલગ જાતિના કુલ 52 સાપ મળી આવ્યા હતા, જેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વન વિભાગના અધિકારીઓએ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ મહંત મનુ મણિરામ દૂધરેજિયાની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.








