Gujarat

કૃષ્ણ ભક્તિમાં રંગાતું રાજકોટઃ કાલે જન્માષ્ટમીની શોભાયાત્રા

By GS TEAM
14 Aug 20252 mins read
કૃષ્ણ ભક્તિમાં રંગાતું રાજકોટઃ કાલે જન્માષ્ટમીની શોભાયાત્રા

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત 40મી શોભાયાત્રામાં સંતો - મહંતોની ઉપસ્થિતિ, રાસ-ગરબાની રમઝટ : વૈદિક મંત્રોચ્ચાર અને ધર્મસભા બાદ મવડી ચોકથી શોભાયાત્રાનો પ્રારંભ : ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા રાજકોટમાં શેરીએ- શેરીએ સુશોભન, મટકી ફોડ સહિતના કાર્યક્રમોથી દિવ્ય માહોલના દર્શન થશે

રાજકોટ, : ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે રાજકોટમાં વિશ્વહિન્દુ પરીષદ દ્વારા આગામી તા. 16ને શનિવારે 22 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમં છેલ્લા 39 વર્ષથી શોભાયાત્રા યોજાતી રહી છે. મવડી ચોકડીએથી સવારે 8 વાગ્યે ધર્મસભા બાદ કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રાનો પ્રારંભ થશે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણની વિરાટ પ્રતિમના દર્શન મુખ્યરથમાં થશે. સંતો - મહંતો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનો પ્રારંભ થશે. 

સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ ધર્મનગરી તરીકે જાણીતુ રહ્યું છે. અહીં દર વર્ષે પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી થતી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે શહેરના તમામ મુખ્યમાર્ગો શણગારવામાં આવ્યા છે. પ્રત્યેક ચોક અને શેરીઓમાં સુશોભન સાથે ભગવાન શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોની ઝાંખી કરાવતા ફલોટસ તૈયાર કરવામં આવ્યા છે. તા. 16નાં શનિવારે યોજાનાર જન્માષ્ટમીની શોભાયાત્રા અંગે આજરોજ વિશ્વહિંદુ પરીષદના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, દર વર્ષની માફક આ વર્ષે રાજકોટમાં જન્માષ્ટમી પર્વે આયોજિત શોભાયાત્રાનો  પ્રારંભ મવડી ચોકડી ખાતેથી થશે. ધર્મસભામાં ધર્માધ્યક્ષ તરીકે સ્વામિનારાયણ ગુરૂકુળના બિરાજશે મુખ્ય વકતા તરીકે વિશ્વ હિંદુપરીષદ મંત્રી પ્રાસંગિક ઉદબોધન આપશે. સંતો - મહંતો અને આગેવાનોના ઉદબોધન બાદ જય રણછોડ-માખણચોરના નાદ સાથે વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થશે. જૂદી જૂદી ધાર્મિક સંસ્થઓના મહિલા મંડળો, ધૂન મંડળો તેમજ રાસ ગરબાની રમઝટ સાથે ભગવાન શ્રીકૃષ્ણના જીવનની ઝાંખી કરાવતા ફલોટસ શોભાયાત્રામાં જોડાશે.  આ શોભાયાત્રામાં રંગીલા હનુમાન મંડળના 51 સ્વયં સેવકો કેસરિયા સાફા ધારણ કરી બાઈક ઉપર સવાર થઈ સામેલ થશે. સુશોભિત અશ્વસવારો પણ શોભાયાત્રાનું વિશિષ્ટ આકર્ષણ બની રહેશે. સવારના 8.30 થી શોભાયાત્રાનો પ્રારંભ થયા બાદ શહેરના જૂદા - જૂદા માર્ગો ઉપર ફરીને બપોરના ૩.૩૦ વાગ્યે પેડક રોડ ઉપર આવેલ બાલક હનુમાન મંદિરે શોભાયાત્રાનું સમાપન થશે. 

રાજકોટમાં જન્માષ્ટમી શોભાયાત્રાનો રૂટ : * મવડી ચોકડી  * નાના મોવા ચોકડી  * કેકેવી હોલ  * રેયા ચોકડી, * કનૈયા ચોક  * હનુમાન મઢી  * કિશાનપરા ચોક  * સદર બઝાર  * હરિહર ચોક * પંચનાથ મંદિર * લિમડા ચોક * ત્રિકોણ બાગ * માલવિયા ચોક * ગોંડલ રોડ* નાગરિક બેંક ચોક * ભક્તીનગર ચોક  * સોરઠીયા વાડી ચોક * કેવડા વાડી રોડ * કેનાલ રોડ * જિલ્લા ગાર્ડન ચોક * ચુનારવાડ ચોક * સંત કબીર રોડ * જલગંગા ચોક * ગોવિંદ બાગ મેન રોડ * બાલક હનુમાન મંદિર *