Rajdeep Sinh Jadeja Surrenders in Amit Khunt Suicide Case : અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદીપ સિંહ જાડેજાએ આજે ગોંડલના પોલીસ સ્ટેશનમાં સરન્ડર કર્યું છે. રાજદીપ છેલ્લા છ મહિનાથી ફરાર ચાલી રહ્યો હતો. અગાઉ રાજદીપના પિતા તથા કેસના મુખ્ય આરોપી અનિરુદ્ધ સિંહ જાડેજાએ પણ સરન્ડર કર્યું હતું. પોલીસ રાજદીપ સિંહની ધરપકડ કરી, રિમાન્ડની માંગ સાથે કોર્ટ સમક્ષ રજૂ કરે તેવી શક્યતા છે.
મહિનાઓ સુધી ફરાર રહ્યા પિતા પુત્ર
અમિત ખૂંટ આપઘાત કેસમાં મૃતકની સુસાઈડ નોટમાં બંને પિતા પુત્ર અનિરુદ્ધ સિંહ જાડેજા તથા રાજદીપ સિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. જે બાદ પોલીસે બંને વિરુદ્ધ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જોકે તે બાદથી જ બંને પિતા પુત્ર ફરાર ચાલી રહ્યા હતા. પહેલા પિતા અને હવે પુત્રએ પણ સરન્ડર કર્યું છે.
નોંધનીય છે કે કેસ દાખલ થયા બાદ અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપ સિંહ જાડેજાએ બચવા માટે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જામીન માટે અરજી કરી હતી. જોકે બંને અદાલતમાંથી કોઈ રાહત મળી નહોતી.


