સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ
- લખતર, લીંબડી, ધ્રાંગધ્રા, દસાડા સહિતના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
- વઢવાણ સહિત અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારે વરસાદનું આગમન
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીને પગલે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ તાલુકાઓમાં ઝરમરથી લઈ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જ્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ રવિવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિતના શહેરી વિસ્તારોમાં ઝરમરથી લઈ નોંધપાત્ર વરસાદી ઝાપટા પડયા હતા. જ્યારે જીલ્લામાં સવારના ૬-૦૦ વાગ્યાથી બપોરના ૪-૦૦ વાગ્યા સુધી ધ્રાંગધ્રા તાલુકામાં ૭ મીમી, દસાડા તાલુકામાં ૮ મીમી, લખતર તાલુકામાં ૪૦ મીમી, વઢવાણ તાલુકામાં ૫ મીમી, મુળી તાલુકામાં ૪ મીમી, લીંબડી તાલુકામાં ૧૮ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. આમ જીલ્લામાં ફરી સાર્વત્રિક મેઘમહેર જોવા મળતા એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તેમજ લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી હતી. જ્યારે બપોરના ૪-૦૦ વાગ્યા બાદ પણ ધીમીધારે મેઘમહેર યથાવત શરૂ રહી હતી.