અસહય ઉકળાટ પછી વરસાદ થતાં રાહત , મણિનગરમાં પોણા બે,ઓઢવ, સરદારનગરમાં સવા ઈંચ વરસાદ
સાબરમતીમાં ૨૦ હજાર કયૂસેકથી વધુ આઉટફલો, વાસણા બેરેજના નવ દરવાજા ત્રણ ફુટ સુધી ખોલવામાં આવ્યાં
અમદાવાદ,ગુરુવાર,28 ઓગસ્ટ,2025
અમદાવાદમાં ગુરુવારે ઋષિપંચમીના દિવસે દિવસભરના અસહય ઉકળાટ
પછી સાંજના ૭ કલાકના સુમારે શહેરના અનેક વિસ્તારમાં ભારે ગાજવીજ અને કડાકા સાથે
વરસાદ વરસતા શહેરીજનો રાહત અનુભવી રહયા હતા.મણિનગરમાં પોણા બે, ઓઢવ અને
સરદારનગરમાં સવા ઈંચ વરસાદ વરસી પડયો હતો.નિકોલ
વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસી પડયો હતો.અન્ય વિસ્તારમાં હળવો વરસાદ થયો
હતો. સવારના ૬થી રાતના ૯ કલાક સુધીમાં સરેરાશ ૧૮.૯૭ મિલીમીટર વરસાદ વરસતા મોસમનો
૩૩.૭૭ ઈંચ વરસાદ થયો હતો.સાબરમતી નદીમાં ૨૦,૩૯૨
કયૂસેક આઉટફલો નોંધાયો હતો.વાસણા બેરેજના નવ દરવાજા ત્રણ ફુટ સુધી ખોલવામાં આવ્યા
હતા.
ગુરુવારે સાંજના સમયે વાતાવરણમાં આવેલા પલ્ટાના કારણે
પૂર્વમાં આવેલા ઓઢવ, નિકોલ,વિરાટનગર,વસ્ત્રાલ ઉપરાંત
કઠવાડા સહીતના વિસ્તારમાં વરસાદ વરસવાની શરુઆત થતા થોડા જ વરસાદમાં નિચાણવાળા
વિસ્તારોમાં રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઉત્તર ઝોનમાં આવેલા સરદારનગર, કોતરપુર તેમજ
હંસપુરા,નરોડા
અને મેમ્કોમાં એક કલાકના સમયમાં એક ઈંચ વરસાદ ખાબકયો હતો.ગુરુવારે સાંજે પડેલા
વરસાદે પેટર્ન બદલી હોય એમ બોડકદેવ,
સાયાન્સસિટી,થલતેજ,મેમનગર તથા સરખેજ
અને જોધપુર જેવા વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો હતો.વાસણા બેરેજ ખાતે ૧૩૧.૫૦ ફુટ
લેવલ નોંધાયુ હતુ.નર્મદા કેનાલમાંથી ૬,૬૮૪
કયુસેક અને સંતસરોવરમાંથી ૧૩,૭૬૫
કયૂસેક પાણીનો ઈનફલો નોંધાયો હતો.નદીમાંથી ૨૦,૩૯૨ તથા કેનાલમાંથી ૪૫૬ કયૂસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.
કયાં કેટલો વરસાદ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
ચકુડીયા ૧૭
ઓઢવ ૩૨
વિરાટનગર ૨૨
નિકોલ ૩૧
રામોલ ૩૬
કઠવાડા ૨૦
વસ્ત્રાલ ૨૬
પાલડી ૨૫
ઉસ્માનપુરા ૧૩
વાસણા ૨૨
મોટેરા ૧૫
મેમનગર ૧૧
મકતમપુરા ૧૬
બાકરોલ ૨૭
દાણાપીઠ ૨૨
દૂધેશ્વર ૨૦
અસારવા ૨૧
મેમ્કો ૨૬
નરોડા ૨૪
સરદારનગર ૩૧
હંસપુરા ૨૬
કોતરપુર ૨૨
મણિનગર ૪૭
વટવા ૨૯
લાંભા ૨૩
સરેરાશ ૧૮.૯૭