Gujarat

છોટા ઉદેપુર: તેજગઢ-ઝોઝ માર્ગ પર રેલવે ગરનાળાની લોખંડી એંગલ તૂટી, ભારે વાહનોના કારણે પુલ જોખમી બનતા અકસ્માતનો ભય

By GS TEAM
4 Jun 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના તેજગઢ-ઝોઝ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આ માર્ગ પર આવેલા રેલવે ગરનાળાની સાઇડમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલ તૂટી ગઈ છે, જેના કારણે પુલના એક ભાગને મોટું નુકસાન પહોંચ્યું છે. પુલનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થતાં આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો અને રોજિંદા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: તેજગઢ-ઝોઝ માર્ગ પર રેલવે ગરનાળાની લોખંડી એંગલ તૂટી, ભારે વાહનોના કારણે પુલ જોખમી બનતા અકસ્માતનો ભય

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના તેજગઢ-ઝોઝ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આ માર્ગ પર આવેલા રેલવે ગરનાળાની સાઇડમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલ તૂટી ગઈ છે, જેના કારણે પુલના એક ભાગને મોટું નુકસાન પહોંચ્યું છે. પુલનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થતાં આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો અને રોજિંદા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

રેતી ભરેલા ભારે વાહનોના કારણે પુલ નબળો પડ્યો

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ક્ષમતા કરતા વધુ વજન ધરાવતા ભારે વાહનોની અવરજવર સતત વધી રહી છે. નદીઓમાંથી રીતે વહન થતી રેતી ભરેલા ભારે વાહનોના અતિશય દબાણ અને ભારણને કારણે પુલની સ્થિતિ નબળી બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પુલના સાઇડનો ભાગ તૂટી જતાં રસ્તો સાંકડો અને જોખમી બન્યો છે, જેના કારણે રાત્રિના સમયે મોટો અકસ્માત સર્જાવાનો ભય સતત મંડરાઈ રહ્યો છે.

સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે, આ વિસ્તારમાં મોટાપાયે ચાલી રહેલા રેતી ખનન અને પૂરપાટ ઝડપે દોડતા રેતીના ડમ્પરો જાહેર માર્ગોની દુર્દશા માટે જવાબદાર છે. માર્ગો અને પુલ તૂટી જવાના કારણે સામાન્ય નાગરિકોને ભોગવવાનો વારો આવ્યો છે અને સુવિધાઓ ખાડે ગઈ છે.

સમારકામ કરવા તંત્ર સમક્ષ માંગ

ગરનાળાની એંગલ તૂટી જવાની ઘટના બાદ સ્થાનિકોએ સંબંધિત માર્ગ-મકાન વિભાગ અને જિલ્લા તંત્ર સમક્ષ આકરા પગલાં લેવાની માંગ કરી છે. તૂટેલી લોખંડી એંગલ અને પુલના ક્ષતિગ્રસ્ત ભાગનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે. માર્ગની સુરક્ષા માટે ભારે વાહનો પર નિયંત્રણ લાદવામાં આવે, જેથી કોઈ નિર્દોષ નાગરિકનો જીવ ન જાય અને કોઈ અનિચ્છનીય દુર્ઘટના અટકાવી શકાય.