Rahul Gandhi Gujarat Visit: છેલ્લાં ત્રીસેક વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સાાથી દૂર રહી છે. તે જોતાં મોદી-શાહના હોમ સ્ટેટ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ હાઇકમાન્ડ સક્રિય બન્યું છે. સંગઠનને તળિયા સ્તરે મજબૂત બનાવવા શિબિર યોજાઈ છે. ત્યારે જુનાગઢમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ ઉતર્યા બાદ જુનાગઢ ખાતે પહોંચ્યા છે.
જુનાગઢમાં જિલ્લા પ્રમુખોની શિબિરમાં સંગઠનને તળિયાના સ્તરે મજબૂત કરવા વ્યૂહરચના ઘડાશે
હવે પ્રદેશના નેતાઓ કરતાં જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવા નક્કી કરાયું છે. હાઇકમાન્ડે પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવી ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને નવો ઓપ અપાઈ રહ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે તે માટે અત્યારથી એડીચોટીનું જોર લગાવ્યું છે. એવું પણ નક્કી કરાયું છે કે, ટોચના કેન્દ્રીય નેતાઓએ ચૂંટણી નજીક આવતાં ગુજરાતમાં અડિંગો જમાવશે.
રાહુલ ગાંધી કેશોદ ઍરપોર્ટ આવી પહોંચ્યા છે, અહીંથી તેઓ સીધા જુનાગઢ જશે. જુનાગઢમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોનો 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. આ શિબિરમાં રાહુલ ગાંધી પક્ષને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય, વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં લોકોના પ્રાણ પ્રશ્નો ઉજાગર કરી કેવી રીતે ઉકેલી શકાય તે માટે માર્ગદર્શન આપશે. જુનાગઢ તાલીમ શિબિરમાં ભાગ લઈ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે. ગુજરાત કોગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધીએ ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે.
પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટિમેટમ
આજે (12 સપ્ટેમ્બર) કોંગ્રેસના કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલે શિબિરમાં હાજર પ્રમુખોને સંબોધિત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે પ્રમુખો કામ નહીં કરે, તેમના પદ છીનવી લેવામાં આવશે. તેમણે પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખોના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને નેતાઓને સડેલી કેરી સાથે સરખાવ્યા હતા, જે આખી ટોપલીને ખરાબ કરી શકે છે.
પ્રતાપ દૂધાતની ગેરહાજરી
આ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની ગેરહાજરી જોવા મળી હતી. સતત બીજી શિબિરમાં તેમની ગેરહાજરીને કારણે હાઈકમાન્ડમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે પણ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે જે લોકો કામ કરશે તેમને પ્રોત્સાહન મળશે, અને જે લોકો કામ નહીં કરે તેમની પાસેથી હોદ્દો પાછો ખેંચી લેવામાં આવશે.
કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરોનું આયોજન
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જુનાગઢમાં આજ(10 સપ્ટેમ્બર)થી 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજું પ્રશિક્ષણ શિબિર છે. જેમાં પહેલું પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી. આ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના 'મિશન 2027' માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તાજેતરમાં 2027ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે.


