Gujarat

દર્દીઓને રામભરોસે મુકીને LG હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો ICCU માં સૂઈ ગયાં

By GS TEAM
3 Mar 20261 min read
દર્દીઓને રામભરોસે મુકીને  LG હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો ICCU માં સૂઈ ગયાં

અમદાવાદ,સોમવાર,2 માર્ચ,2026

        મણિનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓને રામ ભરોસે મુકી રેસિડેન્ટ ડોકટરો આઈસીસીયુમાં સૂઈ ગયા હતા. શનિવારે રાત્રે ઓર્થોપિડીક વિભાગનુ  એક ઓપરેશન હતુ. આ  ઓપરેશન પછી ડોકટરો સૂઈ ગયા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામા વાઈરલ થતા આ મામલે તપાસ કરાશે.વિભાગના વડા તથા ડોકટરનો ખુલાસો માંગવામા આવ્યો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ હોસ્પિટલના ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટે અગાઉ મિડીયા સાથેની વાતચીતમા કહયુ હતુ કે, આઈસીસીયુમાં દર્દીઓને સારવાર આપવા માટે બેડ ખાલી હોતા નથી.બીજી તરફ આઈસીસીયુના જ ખાલી બેડ ઉપર હોસ્પિટલમાં રેસિડન્ટ ડોકટરો તરીકે ફરજ બજાવતા ડોકટરો જ સૂઈ ગયા હોવાનો વિડીયો વાઈરલ થતા હોસ્પિટલ સત્તાવાળાઓ કઠેડામા આવી ગયા છે. સત્તાપક્ષ તરફથી હોસ્પિટલ કમિટીના ચેરમેન ભરત કાકડીયાએ કહયુ,ફરજના સમયે કયા કયા રેસિડન્ટ ડોકટરો આઈસીસીયુમાં સૂઈ ગયા હતા તે અંગે સુપ્રિટેન્ડેન્ટ પાસેથી ખુલાસો માંગવામા આવ્યો છે.ખુલાસામા યોગ્ય જવાબ નહીં મળે તો યોગ્ય કાર્યવાહી કરવામા આવશે.