Get The App

લાલ દરવાજા પોલીસ ચોકીના પીએસઆઈ રૂ. 30 હજારની લાંચ લેતા ઝડપાયા

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
લાલ દરવાજા પોલીસ ચોકીના પીએસઆઈ રૂ. 30 હજારની લાંચ લેતા ઝડપાયા 1 - image

- ખંભાતમાં લાંચિયા પીએસઆઈ પર એસીબી ત્રાટકી

- અરજદાર પાસેથી અશાંતધારાની બે અરજી માટે રૂપિયા 20-20 હજારની લાંચ માગણી કરી હતી

આણંદ : આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ મોટી કાર્યવાહી કરતા લાલ દરવાજા પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા છે. અશાંતધારાની બે અરજી માટે પીએસઆઈએ અરજદાર પાસે લાંચની માંગણી કરી હતી, જે મામલે એસીબીએ છટકું ગોઠવી પીએસઆઈને દબોચી લેતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ખંભાત લાલ દરવાજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ પંકજ પરસોત્તમભાઈ પટેલ સામે લાંચ લેવાના ગંભીર આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર વિગત મુજબ, એક અરજદાર પાસેથી અશાંતધારા હેઠળની બે અલગ-અલગ અરજી માટે પીએસઆઈ પંકજ પટેલે બે અરજીના રૂપિયા ૨૦-૨૦ હજારની લાંચ માંગી હતી.

અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન પીએસઆઈ અને અરજદાર વચ્ચે થયેલી રકઝકના અંતે રૂપિયા ૩૦,૦૦૦માં સોદો નક્કી થયો હતો. એસીબીની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન, જ્યારે પીએસઆઈ પંકજ પટેલ રૂ. ૩૦,૦૦૦ની લાંચ લેતા એસીબીએ તેમને રંગેહાથ ઝડપી પાડયા હતા.