મહેસાણાના સામેત્રામાં પેપર મિલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ, બહુચરાજી હાઈવે પર કર્યો ચક્કાજામ
Mahesana News: મહેસાણા જિલ્લાના સામેત્રા ગામમાં આવેલી પેપર મિલથી આસપાસના ગામોના લોકો ભારે પરેશાનીમાં છે. આ પેપર મિલમાંથી નીકળતી દુર્ગંધ એટલી અસહ્ય છે કે સામેત્રા, ગોકળગઢ, મરેડા, લક્ષ્મીપુરા (ખારા), અને ખારા જેવા ગામોના રહેવાસીઓનું જીવન મુશ્કેલ બની ગયું છે. આ પ્રદૂષણને કારણે ગામલોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈને આજે (18મી સપ્ટેમ્બર) મહિલાઓએ બહુચરાજી હાઈવે ચક્કાજામ કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, 'પેપર મિલમાંથી નીકળતી વાસ એટલી ખરાબ છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે'
અગાઉ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું
મળતી માહિતી અનુસાર, સામેત્રા ગામમાં આવેલી પેપર મિલથીમાંથી નીકળતી દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ પરિસ્થિતિએ ગ્રામજનોને એટલા પરેશાન કરી દીધા છે કે તેઓએ કલેક્ટર કચેરીમાં ધરણા કરીને ન્યાયની માંગ કરી હતી અને કલેક્ટરને એક આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. જેમાં ગ્રામજનોએ આ પેપર મિલ સામે કડક કાર્યવાહી કરવાની અને તેમને અસહ્ય દુર્ગંધથી મુક્તિ અપાવવાની માંગ કરી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે ગ્રામજનોએ બહુચરાજી હાઈવે ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી.
ગ્રામજનોના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. આ ફેક્ટરીમાંથી નીકળતો કચરો અને રાસાયણિક પ્રવાહી યોગ્ય રીતે નિકાલ થતો નથી, જેના કારણે આજુબાજુના વાતાવરણમાં સતત દુર્ગંધ ફેલાયેલી રહે છે. આ ઉપરાંત લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે.