Get The App

નડિયાદમાં બંધ સિટી બસ ફરી શરૂ કરવાની માગ સાથે ભીંત ચિત્રો દોરીને વિરોધ

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
નડિયાદમાં બંધ સિટી બસ ફરી શરૂ કરવાની માગ સાથે ભીંત ચિત્રો દોરીને વિરોધ 1 - image


- શહેરના નાગરિકોએ પણ બસ શરૂ કરવા અગાઉ રજૂઆતો કરી 

- ફેબુ્રઆરી 2025 માં બસના રજિસ્ટ્રેશનનો મામલો ઘોંચમાં પડતા બસ સેવા બંધ કરાઇ હતી 

નડિયાદ : નડિયાદમાં એક દાયકાથી બંધ થયેલી સિટી બસ ડિસેમ્બર ૨૦૨૪માં શરૂ થઇ હતી. બાદમાં મનપા દ્વારા સિટી બસનું સંચાલન થતું હતું. ફેબુ્રઆરી મહિનામાં બસના રજિસ્ટ્રેશનના લઇ સેવા બંધ થઇ હતી. પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા આજે શહેરમાં નવ સ્થળે સિટી બસ ફરી શરૂ કરવાની માગણી સાથે ભીંતચિત્રો દોરીને વિરોધ કર્યો છે. 

નડિયાદમાં દસ વર્ષથી બંધ સિટી બસ સેવા ૨૦૨૪ ના અંતમાં શરૂ કરી હતી. સિટી બસ સેવા શરૂ કર્યાના એક સપ્તાહમાં નડિયાદ પાલિકાને મહાનગરપાલિકાનો સૈધ્ધાંતિક દરજો મળ્યો હતો. જે બાદ બસનું સંચાલક મહાનગર પાલિકાની એજન્સી મારફતે કરાતું હતું. ફેબુ્રઆરી ૨૦૨૫માં સિટી બસના રજિસ્ટ્રેશન મામલે ઘોંચમાં પડતા ફરી બંધ થઇ હતી અને આજ દિવસ સુધી બસ સેવા ફરી શરૂ થઇ નથી. શહેરીજનોએ પણ સિટી બસ સેવા શરૂ કરવા માટે વારંવાર માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. 

આ મામલે પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા સિટી બસ તાકિદે શરૂ કરવાની માગણી સાથે વલ્લભનગર મહાદેવ સામે, બાલકનજી બારી પાસે, પીજ રોડ કેયા હોસ્પિટલની સામે, રેલવે સ્ટેશન પાસે, મીલ રોડ, નવી કોર્ટ સહિતના જાહેર રોડ પર સિટી બસ ચાલુ કરોના ભીંત ચિત્રો લખીને વિરોધ દર્શાવ્યો છે. 

એસટી વિભાગે પણ બસનું સંચાલન કરવાનો નનૈયો ભણ્યો હોવાની ચર્ચા

 અગાઉ તત્કાલિન નગરપાલિકા અને મહાનગરપાલિકા તેમજ એજન્સીઓ સિટી બસ ચલાવવામાં નિષ્ફળ ગઈ છે. તેવા સંજોગોમાં એસ.ટી. વિભાગ પાસે સંચાલન કરાવવાની જોરશોરથી જાહેરાતો કરાઈ હતી. જો કે, હવે એસ.ટી. વિભાગે પણ આ સિટી બસોનું સંચાલન કરવાનો સ્પષ્ટ નનૈયો ભણ્યો હોવાની ચર્ચાઓ ઉઠી છે.

Tags :